Ahmed Patel's birthday: વફાદાર, મદદગાર અને રણનીતિકાર... આવા હતા કોંગ્રેસના 'અહમદ પટેલ'

કટોકટી બાદ 1977ની લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસ વિરોધી માહોલ દેશમાં ચરમસીમાએ હતો, પરંતુ ગુજરાતના ભરૂચના 28 વર્ષના યુવકે આ માહોલને બદલીને જીત મેળવી હતી.

Ahmed Patel's birthday: વફાદાર, મદદગાર અને રણનીતિકાર... આવા હતા કોંગ્રેસના 'અહમદ પટેલ'

Ahmed Patel's birthday: પાંચ વખતના રાજ્યસભાના સભ્ય અને ત્રણ વખતના લોકસભાના સભ્ય અહેમદ પટેલ તો આજે આપણી વચ્ચે હયાત નથી. પરંતુ તેમણે કરેલા કાર્યો કોંગ્રેસ આજે પણ યાદ કરી રહી છે. અહેમદ પટેલનો જન્મ 21 ઓગસ્ટ, 1949ના રોજ ગુજરાતના ભરૂચમાં મોહમ્મદ ઈસાકજી પટેલ અને હવાબેન પટેલના ઘરે થયો હતો. અહેમદ પટેલના પિતા પણ કોંગ્રેસમાં હતા અને એક સમયે ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા.

કટોકટી બાદ 1977ની લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસ વિરોધી માહોલ દેશમાં ચરમસીમાએ હતો, પરંતુ ગુજરાતના ભરૂચના 28 વર્ષના યુવકે આ માહોલને બદલીને જીત મેળવી હતી. દાયકાઓ પછી કોંગ્રેસની તરફેણમાં માહોલ ઊભું કરવામાં અહેમદ પટેલ નામના આ યુવાનની મહત્વની ભૂમિકા હતી. મૃદુભાષી, સરળ સ્વભાવ, મૈત્રીપૂર્ણ, વફાદાર, મદદગાર અને ઉત્તમ રણનીતિકાર એવા પટેલ પાસે આવી ઘણી ઉપમાઓ છે જેનો ઉપયોગ મોટાભાગના કોંગ્રેસના નેતાઓ અને તેમની નજીકના લોકો દ્વારા કરવામાં આવે છે. અહેમદ પટેલનું 71 વર્ષની વયે કોરોના મહામારી દરમિયાન અવસાન થયું હતું. તેઓ તેમના જીવનના અંત સુધી કોંગ્રેસની નૌકાને હંકારવામાં સૌથી મોટા સહાયક બનીને રહ્યા. કોંગ્રેસના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પટેલના જવાથી કોંગ્રેસે તોફાનમાં સફર કરનાર એક સફળ કેપ્ટન ગુમાવ્યા છે. એટલું જ નહીં રાજકારણે એક સારી વ્યક્તિ ગુમાવી છે. ગુજરાતે ગુજરાતીઓ માટે જીવની પણ પરવાહ કર્યા વિના લડતો સપુત્ર ગુમાવ્યો છે.

પાંચ વખતના રાજ્યસભાના સભ્ય અને ત્રણ વખતના લોકસભાના સભ્ય પટેલનો જન્મ 21 ઓગસ્ટ, 1949ના રોજ ગુજરાતના ભરૂચમાં મોહમ્મદ ઈસાકજી પટેલ અને હવાબેન પટેલને ત્યાં થયો હતો. અહેમદ પટેલના પિતા પણ કોંગ્રેસમાં હતા અને એક સમયે ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા. અહેમદ પટેલને રાજકીય કારકિર્દી બનાવવામાં પિતા તરફથી ઘણી મદદ મળી. જોકે અહેમદ પટેલના બંને બાળકો ફૈઝલ અને મુમતાઝ રાજકારણથી દૂર છે. 

કોંગ્રેસ અને રાજકીય વર્તુળોમાં 'અહમદ ભાઈ' તરીકે ઓળખાતા પટેલે 1976માં ગુજરાતમાંથી ભરૂચની સ્થાનિક સંસ્થામાં નસીબ અજમાવીને રાજકીય પદાર્પણ કર્યું હતું. ત્યારબાદ 1977માં કટોકટી બાદ જ્યારે ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે પટેલ 28 વર્ષની વયે ભરૂચમાંથી પહેલીવાર લોકસભામાં પહોંચ્યા હતા. આ પછી તેઓ 1980 અને 1984માં પણ આ બેઠક પરથી ચૂંટાયા હતા. તેમની રાષ્ટ્રીય રાજનીતિના શરૂઆતના દિવસોમાં તેઓ ઈન્દિરા ગાંધીની નજીકના બની ગયા હતા. બાદમાં તેઓ રાજીવ ગાંધીના ખૂબ નજીક અને ખાસ રહ્યા. પટેલને 1980માં કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. તેઓ રાજીવ ગાંધીના સંસદીય સચિવ પણ હતા.

પટેલ 1989 માં લોકસભાની ચૂંટણી હારી ગયા અને ફરીથી 1991 માં રાજીવ ગાંધીની હત્યા પછી તેમને તેમની રાજકીય કારકિર્દીમાં મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો. જો કે, 1993 માં તેઓ પ્રથમ વખત રાજ્યસભામાં પહોંચ્યા અને ત્યારપછી ઉપલા ગૃહના સભ્ય તરીકે ચાલુ રહ્યા. સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સક્રિય રાજકારણમાં પગ મૂક્યા અને પક્ષના અગ્રણી વ્યૂહરચનાકારો સાથે જોડાયા પછી પટેલનો રાજકીય ગ્રાફ ફરી એકવાર વધ્યો. ત્યારબાદ તેઓ સોનિયા ગાંધીના રાજકીય સચિવ બન્યા. 

કહેવાય છે કે સોનિયા ગાંધી અને કોંગ્રેસના નિર્ણયોમાં તેમની સ્પષ્ટ છાપ હતી. મનમોહન સિંહના નેતૃત્વમાં 2004માં યુપીએ સરકારની રચના થયા પછી પટેલનું કદ અને ભૂમિકા મોટી હતી. તે સમયે તેઓ કોંગ્રેસ સંગઠન, સાથી પક્ષો અને સરકાર વચ્ચે સેતુનું કામ કરતા નેતા ગણાતા હતા. એવું કહેવાય છે કે પટેલે તેમની રાજકીય કારકિર્દીમાં ઘણી વખત સરકારનો હિસ્સો બનવાની ઓફરોને ઠુકરાવી દીધી હતી અને કોંગ્રેસ સંગઠન માટે કામ કરવાનું પસંદ કર્યું હતું.

અહેમલ પટેલ નિઃસ્વાર્થપણે રાજનીતિ કરતા હતા અને આ જ કારણ હતું કે તેમણે ક્યારેય સરકારમાં કોઈ પદ લીધું નથી. આજના યુવાનોએ તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે. તેમનું સપનું હતું કે ગુજરાતમાં ફરી કોંગ્રેસની સરકાર બને. 2014માં જ્યારે કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવામાં આવી હતી, ત્યારે પટેલ માટે મુશ્કેલ સમય શરૂ થયો હતો, ત્યારે પટેલ પક્ષ સાથે મક્કમ રહ્યા હતા અને તેમની વ્યૂહરચનાકારની ભૂમિકા જાળવી રાખી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ફરી હારી ત્યારે પણ તેમણે તેમની ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખ્યું. તેઓ 2018માં કોંગ્રેસના કોષાધ્યક્ષ બન્યા અને છેલ્લી ઘડી સુધી આ ભૂમિકામાં રહ્યા. 

પટેલ જેમણે અનેક પ્રસંગોએ તેમની પાર્ટી માટે સંક્ટમોચકની ભૂમિકા ભજવી હતી. પરંતુ હા... તેઓ મીડિયાની ચમકથી દૂર રહ્યા હતા. 2017ની ગુજરાત રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પછી વિધાનસભાની ચૂંટણીઓ અને સચિન પાયલોટ પ્રકરણ અને 23 નેતાઓના પત્રને લગતો વિવાદ અને અન્ય ઘણા પ્રસંગોએ, પટેલે પોતાને એક મહાન વ્યૂહરચનાકાર અને મુશ્કેલીનિવારકની ભૂમિકા દર્શાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news