અહેમદ પટેલની દીકરી મુમતાઝનો દાવો, 'હું મુસ્લિમ છું, તેથી મને ભાડા પર મકાન મળી રહ્યું નથી'

ગુજરાતની ભરૂચ લોકસભા સીટ હોટ ફેવરિટ થઈ રહી છે. કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થયું છે. ગુજરાતની ભરૂચ લોકસભા સીટ AAPને કોંગ્રેસે આપવાનો વિરોધ કરીને ચર્ચામાં આવેલા સ્વ. અહેમદ પટેલની પુત્રી મુમતાઝે કહ્યું છે કે તેઓ મુસ્લિમ હોવાને કારણે તેમને ભાડા પર ઘર મળી રહ્યું નથી.

અહેમદ પટેલની દીકરી મુમતાઝનો દાવો, 'હું મુસ્લિમ છું, તેથી મને ભાડા પર મકાન મળી રહ્યું નથી'

Statement by Mumtaz Patel: ગુજરાતની ભરૂચ લોકસભા સીટ કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ને આપવાનો વિરોધ કરીને ચર્ચામાં આવેલા સ્વ. અહેમદ પટેલની દીકરી મુમતાઝે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું છે કે દેશમાં મુસ્લિમો મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે. મુમતાઝ પટેલે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે તેઓ મુસ્લિમ હોવાને કારણે તેમને ભાડા પર ઘર મળી શકતું નથી. તેમણે એમ પણ જણાવ્યું કે દિલ્હી જેવા શહેરોમાં પણ મુસ્લિમો સાથે આવું થાય છે.

મતદારો અને કેડરને મનાવવાનું આસાન નહીં હોય
મુમતાઝ પટેલે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં એકવાર ફરી ભરૂચ સીટ આમ આદમી પાર્ટીને આપવામાં આવતાં નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ સમર્થકો AAP ઉમેદવારને મત આપશે કે નહીં તેની હવે કોઈ ખાતરી નથી. AAPના ઉમેદવાર ચૈતર વસાવા પર કટાક્ષ કરતા મુમતાઝે જણાવ્યું હતું કે અહેમદ પટેલની સીટ જ નથી, પરંતુ આજે આ સીટ જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું તેમ કહીને પ્રચાર શરૂ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના મતદારો AAPને મત આપશે કે કેમ તે અંગે મુમતાઝે કહ્યું, 'તેના વિશે હું કંઈ પણ કહી શકતી નથી. હું ના તો કેડરની ગેરંટી લઈ શકું અને ના તો વોટની ગેરંટી લઈ શકું. મારા તરફથી કોઈ બળવો નથી, પરંતુ મતદારો અને કેડરને મનાવવાનું આસાન નહીં હોય.

મુસ્લિમો વિશે શું કહ્યું?
શું ભારતમાં મુસ્લિમો સુરક્ષિત છે? જ્યારે મુમતાઝને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'આ ખૂબ જ મુશ્કેલ સ્થિતિ છે. એક મુસ્લિમ હોવાના નાતે હું કહું છું કે સરળ નથી. આજે પણ જો મારે ઘર ભાડે લેવું હોય તો મને કોઈ આપતું નથી, દિલ્હી જેવા શહેરમાં પણ મળતું નથી. હું ઘર શોધું છું પણ ઘર મળતું નથી. કારણ એ છે કે હું મુસ્લિમ છે. મારી માતાને બે વર્ષ પહેલા ઘર ન મળ્યું. આજે પણ મારી સાથે આવું થઈ રહ્યું છે. એક રાજકીય અને બીજું મુસ્લિમ. 

સ્પષ્ટપણે લોકો કહે છે કે તેઓ મુસ્લિમ પરિવારને ઘર આપવા માંગતા નથી. જો આપણી સાથે આવું થશે તો સામાન્ય મુસ્લિમોનું શું થશે. જ્યારે આપણે મેદાનમાં જઈએ છીએ, મુસ્લિમ ગામોમાં જઈએ છીએ, ત્યારે આપણે ઘણી મુશ્કેલીમાં હોઈએ છીએ. મુમતાઝે વધુમાં જણાવ્યું કે મુસ્લિમ કોંગ્રેસના કાર્યકરોના બાળકોને નોકરીમાંથી ફેંકી દેવામાં આવે છે. આ તો ગુજરાતની વાત છે, યુપી વગેરેમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. મુમતાઝે કહ્યું કે પોલીસ મુસ્લિમોની ફરિયાદ નોંધતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news