મોરબી ઝુલતા પુલના 'હીરો' ભરાયા! કાંતિ અમૃતિયાની જીતનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો

મોરબીથી છઠ્ઠી વખત ચૂંટાયલા ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને પડકારવામાં આવી છે. અરજદારે હાઈકોર્ટમાં અમૃતિયાની જીતને પડકારતી અરજી કરી છે. તેમની સામે એફિડેવિટમાં ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ કરાયો છે.

મોરબી ઝુલતા પુલના 'હીરો' ભરાયા! કાંતિ અમૃતિયાની જીતનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો

ઝી બ્યુરો/મોરબી: મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. આ અરજી મામલે કાંતિ અમૃતિયા, ઈલેક્શન ઓફિસર સહિતના પક્ષકારોને નોટિસ ઈસ્યૂ કરવામાં આવી છે. હાઈકોર્ટે તમામ લોકોને આગામી મુદતે જવાબ રજૂ કરવાના નિર્દેશો આપ્યા છે. મોરબીથી કાંતિ અમૃતિયા 50 હજારથી વધુના માર્જિનથી જીત્યા હતા. કાંતિ અમૃતિયાની સામે કોંગ્રેસના જયંતિલાલ પટેલ મેદાનમાં હતા. જેમાં અમૃતિયા કરતા અડધા મત પણ નહોતા મળ્યા. કાંતિ અમૃતિયાને એક લાખ 14 હજાર કરતા વધુ મત મળ્યા હતા. જો કે, હવે તેમની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.

મોરબીથી છઠ્ઠી વખત ચૂંટાયલા ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને પડકારવામાં આવી છે. અરજદારે હાઈકોર્ટમાં અમૃતિયાની જીતને પડકારતી અરજી કરી છે. તેમની સામે એફિડેવિટમાં ખોટી માહિતી આપી હોવાનો આક્ષેપ કરાયો છે. 2022ની વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર મઘુ નિરૂપાએ હાઈકોર્ટમાં આ અરજી કરી છે. તેમાં જણાવાયું છે કે કાંતિ અમૃતિયાએ ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલી એફિડેવિટમાં અધૂરી અને ખોટી માહિતી આપી હતી. વર્ષ 2017ની ચૂંટણીના એફિડેવીટમાં અમૃતિયાએ સરકારી ક્વાર્ટર હોવાનું જણાવ્યું હતું, જ્યારે 2022ની એફિડેવિટમાં સરકારી ક્વાર્ટર નથી તેમ લખ્યુ છે. અરજદારનો આક્ષેપ છે કે એફિડેવિટમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન સરકારી ક્વાર્ટર તેમજ સરકારી લેણાની વિગતો લખવાની હોય છે, પણ અમૃતિયાએ આમ નથી કર્યું.

અરજદારની અરજીના આધારે હાઈકોર્ટે ચૂંટણી અધિકારી સહિતના પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરી છે. આગામી મુદ્દતે પક્ષકારોએ જવાબ રજૂ કરવો પડશે. કાંતિ અમૃતિયાએ આ અરજી અંગે હજુ સુધી કોઈ જવાબ નથી આપ્યો. પાંચ વખત જીતીને 2017માં મોરબી બેઠક પર હારનો સામનો કર્યા બાદ એવું કહેવાયું હતું કે અમૃતિયાની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. જો કે 2022ની ચૂંટણીમાં અમૃતિયાએ આ વાતને ખોટી સાબિત કરી. તેઓ મોટી બહુમતિ સાથે જીત્યા હતા. કોંગ્રેસના ઉમદવાર જયંતી પટેલથી તેમણે બમણાથી વધુ મત મેળવ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યા હતા.

2017માં કોંગ્રેસમાંથી અને 2020ની પેટાચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડીને જીતેલા બ્રિજેશ મેરજાને ભાજપે 2022માં ટિકિટ ન આપી. તેમની જગ્યાએ ભાજપે ફરી કાંતિ અમૃતિયાને ફરી મેદાનમાં ઉતાર્યા હતા. તેની પાછળનું એક મોટું કારણ મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના વખતે અમૃતિયાએ કરેલી બચાવ કામગીરી પણ હતી. અમૃતિયાએ મચ્છુ નદીમાં ઉતરીને લોકોના જીવ બચાવ્યા હતા, જેના વીડિયો પણ સામે આવ્યા હતા. 1995થી પાંચ છ વખત મોરબીથી જીતેલા અમૃતિયાની મોરબીમાં ભાજપ સંગઠન પર સારી એવી પકડ છે. લોકોમાં પણ તેઓ પરિચિત છે. ત્યારે હવે હાઈકોર્ટમાં અરજીથી અમૃતિયાની ચિંતા જરૂર વધી છે.

ગત ટર્મમાં ભાજપના જ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પણ તેમના પ્રતિસ્પર્ધીએ કોર્ટમાં પડકારી હતી. તપાસ બાદ હાઈકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે મૂકતા ભૂપેન્દ્રસિંહની સદસ્યતા બચી ગઈ હતી. એવામાં હવે જોવું એ રહેશે કે કાંતિ અમૃતિયા સામેના આક્ષેપમાં કેટલો દમ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news