જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રખાયેલા 33માંથી 28 સિંહને સાંસણગીર લઈ જવાયા

દલખાણીયા રેન્જ વિસ્તારમાં આવેલા ગામડાઓના પાલતુ પશુ અને રખડતાં કુતરાઓનાં રસીકરણની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી  

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રખાયેલા 33માંથી 28 સિંહને સાંસણગીર લઈ જવાયા

જૂનાગઢઃ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલા કુલ 33 સિંહમાંથી 28 સિંહને સાસણગીરના દેવળીયા પાર્ક ખસેડવામાં આવ્યા છે. જ્યારે 4 નર સિંહને હજુ જામવાળામાં જ રાખવામાં આવ્યા છે. એક નર સિંહને અન્ય વિસ્તારમાં ખસેડાયો છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ધારીની દલખાણીયા રેન્જમાં 20 દિવસના ગાળામાં 23 જેટલા સિંહના મોત થઈ જતાં વન તંત્રમાં હડકંપ મચી ગયો હતો. ત્યાર બાદ અહીં બાકી બચેલા 33 સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના વિવિધ ટેસ્ટ રિપોર્ટ કરાવાયા હતા. આ તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા અને તેમને કોઈ વાયરસનો ચેપ લાગ્યો ન હોવાનું જણાયું હતું. 

કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસની દહેશતના કારણે તમામ સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે દેખરેખમાં રખાયા હતા. દેખરેખ હેઠળ રહેલા આ સિંહોને અમેરિકાથી મગાવાયેલી વિશેષ વેક્સિન આપવામાં આવી હતી. આ વેક્સિનની પણ કોઈ આડઅસર ન થઈ હોવાનું ચકાસ્યા બાદ હવે 33માંથી 28 સિંહને સાસણગીરના દેવળીયા પાર્ક લઈ જવામાં આવ્યા છે. વનવિભાગે જણાવ્યું કે, આ તમામ સિંહ હાલ ભયમુક્ત છે. 

દલખાણીયા પંથકમાં પાલતુ પ્રાણીઓ, રખડતાં કુતરાનું રસીકરણ શરૂ 
ગીરના જંગલમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસના કારણે 23 સિંહોના મોત પછી દલખાણીયા પંથકના ગામડાઓમાં રખડતાં કૂતરાં અને પાલતુ પ્રાણીઓનું રસીકારણ શરૂ કરવામાં આવ્યું છે. વનવિભાગ ઉપરાંત પશુપાલન વિભાગ, અમરેલી નગર પાલિકા અને રાજકોટ મહાનગર પાલિકાના વેટરનરી સ્ટેફ દ્વારા યુધ્ધના ધોરણે કુતરાઓને પકડીને કેનાઇન ડિસ્ટેમ્પર અને રેબીઝની વેક્સીન આપવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, વર્ષો પહેલાં આફ્રિકાના તાન્ઝાનિયાના જંગલમાં પણ સિંહો ઉપર કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ ત્રાટક્યો હતો અને સિંહોની વસ્તીના 30 ટકા એટલે કે, 1000 જેટલા સિંહોના મોત થયા હતા.

તે વખતે પણ દુનિયાભરના નિષ્ણાતો આફ્રિકા પહોંચ્યા હતા અને જંગલ વિસ્તારનાં તમામ પાલતુ પશુ અને રખડતા કુતરાઓને રસી આપવામાં આવીહતી. ત્યાર બાદ મોતનો સીલસીલો બંધ થયો હતો. કેનાઇન ડિસ્ટેમ્પર વેક્સીન અને રેબીઝની રસીના ઇન્જેક્શન આપવાથી જે તે પ્રાણીઓમાં રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે અને ચેપ ફેલાતો અટકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news