વૈભવી જીવન જીવતી કરોડપતિ પિતાની દીકરી લેશે દિક્ષા, સર્વસ્વ સુખ ત્યાગીને સાધ્વી બનશે 2 વિદ્યાર્થીનીઓ

24 વર્ષીય ઉપાસના સંજયભાઈ શેઠ અને 17 વર્ષીય આરાધના મનોજભાઈ ડેલીવાલા 9 ડિસેન્બરના રોજ દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે. આ દીક્ષા ગ્રહણ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જૈન સમુદાયના લોકો એકઠા થશે.

વૈભવી જીવન જીવતી કરોડપતિ પિતાની દીકરી લેશે દિક્ષા, સર્વસ્વ સુખ ત્યાગીને સાધ્વી બનશે 2 વિદ્યાર્થીનીઓ

જે ઉંમરમાં યુવક-યુવતીઓ કરિયરની વાતો કરતા હોય છે, મોંઘા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ તેમજ સોશિયલ મીડિયામાં માથુ ઘાલીને બેસેલા રહે છે, ત્યારે રાજકોટમા રહેતી બે જૈન વિદ્યાર્થીનીઓએ સંસારની મોહમાયા ત્યાગ કરીને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. 

24 વર્ષીય ઉપાસના સંજયભાઈ શેઠ અને 17 વર્ષીય આરાધના મનોજભાઈ ડેલીવાલા 9 ડિસેન્બરના રોજ દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે. આ દીક્ષા ગ્રહણ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જૈન સમુદાયના લોકો એકઠા થશે. ઉપાસનાના પિતા સંજયભાઈ શેઠ ફાઉન્ડ્રી અને સ્ટીલ બિઝનેસ સાથે જોડાયેલ છે. કરોડપતિ પિતાની દીકરી ઉપાસનાએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. સાથે જ તેને બિઝનેસ મેનેજમેન્ટમાં પણ ઊંડો રસ છે. 

ઉપાસના અંદાજે 35 દેશો અને 54 શહેરોની મુસાફરી કરી ચૂકી છે. પહેલા તેને આઈફો, કાર, ટેબલેટ અને બ્રાન્ડેડ સહિત અન્ય ચીજોનો બહુ જ શોખ હતો. તે આ બધુ જ શોખથી વાપરતી હતી. આ વૈભવી લાઈફસ્ટાઈલ ત્યજીને હવે તે સંયમનો માર્ગ અપનાવવા જઈ રહી છે. જ્યારથી તે શિબિરમા જવા લાગી ત્યારથી તેનું આખુ જીવન બદલાઈ ગયું હતું. આત્મ શુદ્ધિ માટે જૈન ધર્મની દીક્ષા લઈને સંયમનો માર્ગ અપનાવવા તે જઈ રહી છે. 

ઉપાસના સાથે જ આ રસ્તા પર નીકળી પડી છે આરાધના. આરાધનાના પિતા મનોજભાઈ ડેલીવાલા રાજકોટમાં ગિફ્ટ શોપ ચલાવે છે. આરાધનાએ 10મી સુધી અભ્યાસ કર્યો છે. અભ્યાસમાં હંમેશા અવ્વલ રહેલી આરાધનાએ ધોરણ-10 બોર્ડમાં 99.94 ટકા અંક મેળવ્યા હતા અને છઠ્ઠા સ્થાન પર રહી હતી. 

આરાધના પહેલેથી જ ધાર્મિક વાતાવરણમાં મોટી થઈ છે. તેનું કહેવું છે કે, જ્યારે તે માતાાના ગર્ભમાં હતી, ત્યારથી જ ગુરુવાણી સાંભળવા મળી રહી છે. બાળપણમાં તેના પિતા તેને સાધુવંદન સંભળાવતા હતા. જૈન શાળામાં પણ તે અભ્યાસ કરી ચૂકી છે. બાળપણથી જ તેનામાં ધાર્મિક સંસ્કાર આવી ગયા છે. વર્ષ 2015માં તેણે ગુરુજીના શિબિરમાં જવાનું શરૂ કરી દીધું હતું અને અચાનક તેના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. આરાધનાએ માતાપિતાની પરમિશન લઈને જૈન ધર્મની દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. આવી બે યુવતીઓ રાજકોટમાં 9 ડિસેમ્બરના  રોજ દીક્ષા પ્રાપ્ત કરશે, અને સાંસારિક જીવનને ત્યાગીને આત્મકાર્યના માર્ગ પર નીકળી પડશે.  

સ્કૂલ દ્વારા વધામણા કરાયા
ઉપાસના શેઠ રાજકોટની એસએનકે સ્કૂલમાં અભ્યાસ કરે છે, જ્યારે કે આરાધના ડેલીવાળા ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે. ત્યારે રાજકોટના સમગ્ર શિક્ષણ જગતની ઉપસ્થિતિમાં બંને મુમુક્ષુ દીકરીઓ માટે ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. ધોળકિયા સ્કુલ, ચાણકય સ્કુલ, મોદી સ્કુલ, P.B.કોટક સ્કુલ, તપસ્વી સ્કુલ, રોઝરી સ્કુલ, કલ્યાણ સ્કુલ, પરિમલ સ્કુલ, ન્યુ એરા સ્કુલ, માસુમ સ્કુલ, આત્મિય સ્કુલ, જિનીયસ સ્કુલ, મહાત્મા ગાંધી સ્કુલ, ઇનોવેટીવ સ્કુલ, G.T. શેઠ સ્કુલ, તપોવન જેવી સ્કૂલોના 5૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ હાજરી આપીને બંને વિદ્યાર્થીનીઓને વધાવી લીધી હતી. બંને દીક્ષાર્થી વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. સ્કુલયુનિફોર્મ અને સ્કુલબેગ સાથે લઈને પધારતાં સમગ્ર સમુદાય અત્યંત અહોભાવ અને જયકારના નાદ સાથે એમના પ્રવેશ વધામણાં કર્યા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news