Pre Budget Expectation 2021: દેશના વિવિધ સેક્ટરને Budget 2021 માં આવી છે આશા-અપેક્ષાઓ

કેન્દ્રિય બજેટ 2021માં સરકાર નીચી આવક ધરાવતા જૂથમાં વાર્ષિક રૂ.5,00,000થી વધારે આવક ધરાવતા લોકોને આવકવેરામાં થોડી રાહત આપી શકે તેવી શક્યતા છે. તે સેક્સન 80સી હેઠળ કરકપાતની મર્યાદા પણ વધારે તેવી શક્યતા છે.

Pre Budget Expectation 2021: દેશના વિવિધ સેક્ટરને Budget 2021 માં આવી છે આશા-અપેક્ષાઓ

નવી દિલ્હી: કેન્દ્રિય બજેટ 2021-22 આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે. આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીના બજેટ રજૂ કરવામાં આવશે. લોકોને નાણા મંત્રી નિર્મલા સીતારમણ (FM Nirmala Sitharaman) પાસેથી ઘણી આશાઓ છે. વિશ્વભરને પોતાના ભરડામાં લેનાર કોરોનાએ દેશના અર્થતંત્રની સ્થિતિ ડગમગાવી દીધી છે. આર્થિક સર્વે -2021 આશા આપે છે કે આગામી બે વર્ષમાં તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી શકે છે. 2021-22માં દેશની આર્થિક વૃદ્ધિ 11 ટકા હોઈ શકે છે.ત્યારે જુદા જુદા સેક્ટરના એક્સપર્ટ દ્વારા અપેક્ષાઓ અને મૂલ્યાંકનો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે.

આવકવેરામાં રાહત મળે 
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિતેશ પોમેલએ જણાવ્યું હતું કે "અગામી બજેટ માં સરકાર દ્રારા જો ખર્ચમાં વધારો કરવામાં આવે તો જ કોવિડથી અસર પામેલા અર્થતંત્રમાં સુધારો થશે, વિગતવાર જણાવતાં કહ્યું કે  સરકાર જો નરેગા,ઇંફાસ્ટૃક્ચર વગેરેના કામમાં બજેટની ફાળવણી વધારીને વધુ ખર્ચ કરવાનું શરૂ કરશે તો તેના પગલે સ્ટીલ, સીમેંટ વગેરેનું વેચાણ વધશે આનાથી જે તે કારખાનાઓમાં રોજગારી વધશે. સાથેસાથે નરેગા વગેરેમાં પણ ગરીબોના હાથમા પૈસા જશે અને અત્યારે અર્થતંત્રની જે મોટામાં મોટી જરુરીયાત માંગમાં વધારો કરવાની છે તે પૂરી થશે અને આખુ અર્થતંત્ર બે આંકડામાં વિકાસ કરતું થઈ જશે. અત્યારે મધ્યમવર્ગ મોંઘવારીમાં કચડાઈ ચૂક્યો છે તો તેને પણ આવકવેરામાં રાહત મળે તો પણ તેનાથી અર્થતંત્રમાં માંગ વધે. આ ઉપરાંત મહત્તમ આવકવેરાનો દર બધા માટે 30 ટકા કરી દેવામાં આવે તો બજારને ઉત્તેજન મળશે."

ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય પર વધારે ખર્ચ કરવામાં આવે
"મારી વિનંતી છે કે બજેટમાં અર્થતંત્રમાં નવચેતન લાવવા પર સક્રિય ધ્યાન આપવામાં આવે અને આર્થિક વૃદ્ધિ તથા સ્થિરતાને લક્ષ્યમાં રાખવામાં આવે. સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય પર વધારે ખર્ચ કરવામાં આવે તો માંગ વધશે અને તમામ કદના બિઝનેસને ટેકો મળશે. બિઝનેસ ડિજિટલ ટેક્નોલોજી પર ખાસ ભાર મૂકે છે. મને આશા છે કે સરકાર એવી નીતિઓ અને પ્રોત્સાહનો ઘડશે જેનાથી ડિજિટલ ઇકોસિસ્ટમ મજબૂત બનશે અને તે તમામ સ્તરે આર્થિક વૃદ્ધિ માટે ખરા અર્થમાં પ્રેરક બળ બનશે."- કર્નલ રાહુલ શર્મા, ડાયરેકટર, કલોઝ સપોર્ટ બિઝનેસ સોલ્યુશન્સ (બિઝનેસ એડવાઈઝરી ફર્મ)

ડેટ લિંક સેવિંગ્સ સ્કીમ્સ રજૂ કરવાની જરૂર
વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર કુનાલ મેહતાએ જણાવ્યું હતું કે "ડેટ અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણને પ્રોત્સાહિત કરવા માટે ડીએલએસએસ (ડેટ લિંક સેવિંગ્સ સ્કીમ્સ) રજૂ કરવાની જરૂર છે. આ પ્રકારનું ફંડ કોર્પોરેટ ડેટ ફંડમાં અને અન્ય ડેટ સાધનો માટે રોકાણ કરવા સૂચવવામાં આવ્યું છે. જે 5 વર્ષ લોકિંગ રાખવાનો પ્રસ્તાવ છે અને આ રોકાણોને ELSS ની જેમ 80c મુજબ ટેક્ષમાં છૂટ આપવી જોઈએ."

આયાત પ્રક્રિયા સરળ બનાવવા પર ભાર મુકવામાં આવે
"સીટા સોલ્યુશન્સ પ્રા. લિ.ના સ્થાપક સીઈઓ કિરણ સુતરિયા સાથે અમારી ચર્ચામાં તેમણે આઇટી ઉદ્યોગ વિશે તથા કોરોના રોગચાળા પછી આઇટી ઉદ્યોગની અપેક્ષા વિશે પોતાનું વિશ્લેષણ રજુ કર્યું હતું. તેમણે ટેક્સના લાભો ઉપરાંત IoT અને બીજી ટેક્નોલોજિકલ ડિવાઇસની આયાત પ્રક્રિયા સરળ બનાવવા પર ભાર મૂક્યો હતો. તેનાથી ભારતમાં એડવાન્સ્ડ ટેક્નોલોજીના માર્કેટને ઉત્તેજન મળશે."

ટુરિઝમની  સગવડો વધે તે માટે સ્પષ્ટ નીતિની જાહેરાત કરવી જોઈએ
ટુરિઝમ અને સંલગ્ન પ્રવૃત્તિઓને મહામારીમાં અત્યંત કપરી અસર થઈ છે. વૃદ્ધિને ટેકો આપવા માટે સરકાર પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી ચૂકી છે. આમ છતાં, કેન્દ્ર સરકાર જે બિઝનેસ અસર પામ્યા છે તેમને માટે વધુ રાહત મળે તેવાં પગલાંની જાહેરાત કરે તેવી અપેક્ષા રાખીએ છીએ.  જ્યાં સુધી રોપ વે બિઝનેસને સંબંધ છે ત્યાં સુધી તેની ઉપર હાલમાં 18 ટકા જીએસટી લાગે છે. તેને  જીએસટીના આ નીચા દરના સ્લેબમાં લઈ જવા જોઈએ. વધુમાં રોપ વે એ પરિવહનની ઈકો-ફ્રેન્ડલી પધ્ધતિ છે. પરિવહનના અન્ય ગ્રીન વિકલ્પોમાં જે રાહતો અપાય છે તે આ ક્ષેત્રને પણ આપવાની જાહેરાત કરવી  જોઈએ. રોજગાર નિર્માણની જંગી ક્ષમતા અને પ્રવાસનની આર્થિક સામાજીક અસરને ધ્યાનમાં લઈને સરકારે  તેને ફોકસ એરિયા જાહેર કરવો જોઈએ. ટુરિઝમની માળખાગત સુવિધાઓ અને સગવડો વધે તે માટે સ્પષ્ટ નીતિની જાહેરાત કરવી જોઈએ એમ ઉષા બ્રેકો લિમિટેડના વેસ્ટર્ન રિજિયન હેડ દીપક કપલિશએ જણાવ્યું હતું. 

LTCG TAX રદ કરવામાં આવે
બીલાઈન બ્રોકિંગના ડિરેકટર  પ્રદિપ સંધીરએ જણાવ્યું હતું કે "કેન્દ્રિય બજેટ 2021માં સરકાર નીચી આવક ધરાવતા જૂથમાં વાર્ષિક રૂ.5,00,000થી વધારે આવક ધરાવતા લોકોને આવકવેરામાં થોડી રાહત આપી શકે તેવી શક્યતા છે. તે સેક્સન 80સી હેઠળ કરકપાતની મર્યાદા પણ વધારે તેવી શક્યતા છે. તેનાથી બચતમાં વધારો થશે અને અંતે સરકારના હાથમાં વધુ ફંડ આવશે. હાલમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (એલટીસીજી) ટેક્સનો દર 10 ટકા છે જે રદ કરવામાં આવે તેવી અપેક્ષા છે. સંરક્ષણ, ફાર્મા, હેલ્થકેર અને ઓટો ક્ષેત્ર કેન્દ્રમાં રહી શકે છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news