ગુજરાતના ખેડૂતો માટે સરકારની મહત્વની જાહેરાત : આ તારીખથી કરાશે મગની ટેકાના ભાવે ખરીદી

Gujarat Government Annoucement For Farmers : રાજ્યભરમાં આગામી તા. ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરુ થશે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૦૮ કરોડની કિંમતના ૧૨,૬૩૩ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે

ગુજરાતના ખેડૂતો માટે સરકારની મહત્વની જાહેરાત : આ તારીખથી કરાશે મગની ટેકાના ભાવે ખરીદી

Agriculture News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તુરંત જ કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. એ જ ક્રમમાં આગળ વધતા ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે.  

રાજ્ય સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણય અંગે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તા. ૨૦મી જૂનથી શરુ થશે. રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૦૮ કરોડની કિંમતનો ૧૨,૬૩૩ મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે. ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ગત તા. ૧૪મી જૂનથી ખેડૂતોની નોંધણી શરુ કરી દેવામાં આવી છે. 

  • મગના વાવેતર વિસ્તાર-ઉત્પાદનને ધ્યાને રાખીને ૪૫ ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા
  • વર્ષ ૨૦૨૩-૨૪ માટે મગ પાકનો ટેકાનો ભાવ રૂ. ૮,૫૫૮ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો
  • ટેકાના ભાવે ખરીદીનો મહત્તમ લાભ લેવા ખેડૂતોને કૃષિ મંત્રીશ્રીનો અનુરોધ 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે રાજ્યની વિવિધ એ.પી.એમ.સી. ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ ખેડૂતોની પડતર કિંમતની સામે અપેક્ષા કરતા થોડો ઓછો હોવાથી, રાજ્યના કોઇપણ ખેડૂતને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને ઉનાળુ મગની પડતર કિંમત સામે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે મગ પાકનો ટેકાનો ભાવ રૂ. ૮,૫૫૮ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે.

મંત્રી પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં મગ પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદી માટે ૪૫ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી રાજ્યની નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં. લિ. (FPO) મારફત કરવામાં આવશે. મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE  મારફત નોંધણી કરાવી શકશે, જેના માટે ખેડૂતોએ કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહી.

મંત્રીએ ખાતરી આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઉનાળુ મગની ખરીદી પૂરતા પ્રમાણમાં કરવામાં આવશે અને તેના માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો ઓનલાઈન નોંધણી કરાવે અને મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ લે, તેવો મંત્રીએ અનુરોધ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news