T20 વિશ્વકપમાં કેમ હારી રહી છે ટીમ ઈન્ડિયા? સામે આવ્યું ચોંકાવનારૂ કારણ

ટીમ ઈન્ડિયાને ટી20 વિશ્વકપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ હવે તેના માટે સેમીફાઇનલના દરવાજા લગભગ બંધ થઈ ચુક્યા છે. ભારતને તેની પ્રથમ બે મેચમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડે કારમો પરાજય આપી ટી20 વિશ્વકપ 2021માંથી બહાર ધકેલી દીધુ છે. 

T20 વિશ્વકપમાં કેમ હારી રહી છે ટીમ ઈન્ડિયા? સામે આવ્યું ચોંકાવનારૂ કારણ

દુબઈઃ ટી20 વિશ્વકપ 2021માં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ જેવા મોટા નામો સાથે ઉતરેલી ટીમ ઈન્ડિયા સેમીફાઇનલની રેસમાંથી બહાર થવા પર છે. ભારતીય ક્રિકેટ ટીમની આવી હાલત જોઈને ક્રિકેટ જગત ચોંકી ગયું છે. ટીમ ઈન્ડિયાને ટી20 વિશ્વકપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ હવે તેના માટે સેમીફાઇનલના દરવાજા લગભગ બંધ થઈ ચુક્યા છે. ભારતને તેની પ્રથમ બે મેચમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડે કારમો પરાજય આપી ટી20 વિશ્વકપ 2021માંથી બહાર ધકેલી દીધુ છે. એકવાર ફરી વિરાટ કોહલી કેપ્ટન તરીકે આઈસીસી ટૂર્નામેન્ટમાં ફ્લોપ સાબિત થયો છે. 

કોહલીની આગેવાનીમાં કેમ સતત હારી રહી છે ટીમ ઈન્ડિયા?
ટીમ ઈન્ડિયાની સતત હારનું કારણ તેના ખેલાડીઓમાં પોતાની જગ્યાને લઈને થઈ રહેલી દુવિધાને માનવામાં આવી શકે છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં મેચ દર મેચ જેટલા ફેરફાર જોવા મળી રહ્યાં છે, લગભગ એટલા કોઈ અન્યની કેપ્ટનશિપમાં જોવા મળી નથી. વિરાટ કોહલીની આગેવાનીમાં એક હાર બાદ ટીમમાં ફેરફાર જોવા મળે છે, જે ખેલાડીઓના મનમાં ડર પેદા કરે છે. ટી20 વિશ્વકપ 2021માં પાકિસ્તાન વિરુદ્ધ એક હાર બાદ સૂર્યકુમાર યાદવ અને ભુવનેશ્વર કુમારને બહાર કરી દેવામાં આવ્યા, તેનાથી બાકી ખેલાડીઓમાં પણ પોતાની જગ્યાને લઈને ડર પેદા થઈ ગયો. તેના કારણે ખેલાડીઓ પોતાની ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નહીં. 

વિશ્વકપ જીતવાના મામલામાં કેમ કોહલીથી વધુ સફળ હતો ધોની?
ધોની (MS Dhoni) પોતાની આગેવાનીમાં કોઈ ક્રિકેટરને અસુરક્ષિત અનુભવ કરાવતો નહોતો અને તેની ટીમમાં પસંદગીમાં સાતત્યતા જોવા મળતું હતું. આ કારણ છે કે એક કેપ્ટન તરીકે તે એટલો સફળ રહ્યો. ધોની ખેલાડીઓને હંમેશા ટીમમાં પોતાની જગ્યાને લઈને સુરક્ષિત અનુભવ કરાવતો હતો અને આ તેની કેપ્ટનશિપની સૌથી મોટી ખાસિયત હતી. ધોની ટીમમાં વધુ ફેરફાર કરવામાં વિશ્વાસ રાખતો નહોતો, અને તેથી તે શાનદાર કેપ્ટન હતો. ધોની ટૂર્નામેન્ટમાં જરૂર ન હોય તો ફેરફાર કરવાનું ટાળતો હતો. 

ટીમ ઈન્ડિયાના નસીબ ખરાબ
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મહત્વના મુકાબલામાં ટોસ હારવો ટીમ ઈન્ડિયાની હારનું કારણ સાબિત થયો. દુબઈની પિચ પર ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ન્યૂઝીલેન્ડના સ્પિનરોએ સ્થિતિનો ફાયદો ઉઠાવ્યો અને ભારતને 110 રને રોકી દીધુ હતું. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાના બોલરોને ઝાકળે પરેશાન કરી હતી. ન્યૂઝીલેન્ડે આસાનાથી 14.3 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરતા જીત મેળવી લીધી હતી. ટોસ અહીં એટલા માટે મહત્વનો હતો કે કારણ કે બીજી ઈનિંગમાં ઝાકળ ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે. 

આ રીતે હારી ટીમ ઈન્ડિયા
મહત્વનું છે કે ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ પર 110 રન બનાવ્યા હતા. કીવી ટીમે 15મી ઓવરમાં આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ભારતીય બેટિંગમાં સૌથી વધુ રન જાડેજા (26) એ બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં બુમરાહે બે વિકેટ ઝડપી હતી. ભારતનો આ સતત બીજો પરાજય છે. આ પહેલા પાકિસ્તાને 10 વિકેટે પરાજય આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news