Jhulan Goswami Retirement: ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેશે ઝૂલન ગોસ્વામી, ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં હશે અંતિમ મેચ

Jhulan Goswami Retirement: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે. તે આગામી મહિને તેની અંતિમ મંચ ઇંગ્લેન્ડ સામે રમશે.

Jhulan Goswami Retirement: ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહેશે ઝૂલન ગોસ્વામી, ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં હશે અંતિમ મેચ

Jhulan Goswami Retirement: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તેમની આગામી સીમિત ઓવર્સની સીરિઝ ઇંગ્લેન્ડ સામે તેમના જ ઘરમાં રમવાની છે. જેના માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે ટી20 અને વન-ડે ટીમની જાહેરાત કરી છે. આ સીરિઝની સાથે જ ભારતની એક સ્ટાર પ્લેયરે સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે.

આ સ્ટાર ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામી છે. ભારતીય મહિલા ટીમને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ત્રણ ટી20 અને ત્રણ વન-ડે મેચ રમવાની છે. 10 સપ્ટેમ્બરે પહેલી ટી20 મેચ સાથે પ્રવાસની શરૂઆત થશે. જ્યારે 24 સપ્ટેમ્બરના છેલ્લી વન-ડે મેચ રમાશે. આ મેચ ઝૂલનના કરિયરની પણ અંતિમ મેચ રહશે.

આ વાતનો દાવો ઇન્ડિયન એક્સપ્રેસે તેમના રિપોર્ટમાં કર્યો છે. ઝૂલનનું સિલેક્શન પણ માત્ર વન-ડે સીરિઝ માટે કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, બીસીસીઆઇના એક ટોપ અધિકારીએ કહ્યું કે, ઇંગ્લેન્ડની સામે ત્રીજી એટલે કે સીરિઝની અંતિમ વન-ડે ઝૂલનની ફેરવેલ મેચ હશે. આ મેચ લોર્ડ્સમાં રમાશે.

કોમનવેલ્થ ગેમ્સમાં થયું ન હતું સિલેક્શન
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડના જ બર્મિંગહામમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. જેમાં ભારતીય ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી હતી. આ સાથે જ ટીમે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ માટે ઝૂલન ગોસ્વામીને ભારતીય ટીમમાં જગ્યા મળી ન હતી. પરંતુ હવે ઇંગ્લેન્ડ સામે વન-ડે સીરિઝ માટે તેની પસંદગી કરવામાં આવી છે.

ઝૂલને ટીમ ઇન્ડિયા માટે છેલ્લી મેચ આ વર્ષે 22 માર્ચના બાંગ્લાદેશ સામે રમી હતી. આ મેચ ન્યુઝીલેન્ડના હેમિલ્ટનમાં વન-ડે કપ અંતર્ગત રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ 110 રનથી જીતી હતી. જેમાં ઝૂલન ગોસ્વામીએ 19 રન આપી બે વિકેટ ઝડપી પાડી હતી. ત્યારબાદ જુલાઈમાં થયેલી શ્રીલંકા સીરિઝ માટે ઝૂલનને સિલેક્ટ કરવામાં આવી ન હતી.

ઝૂલનના વન-ડેમાં શાનદાર રેકોર્ડ
19 વર્ષની ઉંમરમાં 2002 માં ડેબ્યૂ કરનાર ઝૂલન ગોસ્વામી અત્યાર સુધીમાં ભારતીય ટીમ માટે 12 ટેસ્ટ, 201 વન-ડે અને 68 ટી20 મેચ રમી ચૂકી છે. તેમાં તેનું શાનદાર યોગદાન રહ્યું છે. ઝૂલને આ દરમિયાન ટેસ્ટમાં 44, વન-ડેમાં 252 અને ટી20 માં 56 વિકેટ લીધી છે. ઝૂલને વન-ડેમાં 200 થી વધારે વિકેટ લેનાર દુનિયાની એકલી મહિલા પ્લેયર પણ છે. સાથે જ તે મિતાલી રાજ બાદ સૌથી વધુ 201 વન-ડે મેચ રમનાર બીજી મહિલા ક્રિકેટર છે.

આવું છે ટીમ ઇન્ડિયાનું શેડ્યુઅલ
ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે પહેલી ટી20 મેચ 10 સપ્ટેમ્બરના ડરહમના રિવરસાઈડ ગ્રાઉન્ડમાં રમાશે. ત્યારબાદ આગામી બે મેચ ડર્બી અને બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડમં ક્રમશ: 13 અને 15 સપ્ટેમ્બરના રમાશે. જ્યાં સુધી વન-ડે સીરિઝનો સવાલ છે, તો પહેલી મેચ 18 સપ્ટેમ્બરના હોવના સેન્ટ્રલ કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાશે. ત્યારે આગામી બે મેચનું આયોજન કેન્ટરબરી અને લોર્ડ્સમાં ક્રમશ: 21 અને 24 સપ્ટેમ્બરના રમાશે.

ઇગ્લેન્ડ સામે ભારતની ટી20 ટીમ:
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, જેમિમા રોડ્રિગ્સ, સ્નેહ રાણા, રેણુકા ઠાકુર, મેઘના સિંહ, રાધા યાદવ, સબિનેની મેઘના, તાનિયા ભાટિયા (વિકેટકીપર), રાજેશ્વરી ગાયકવાડ, ડી. હેમલતા, સિમરન દિલ બહાદુર, ઋચા ઘોષ (વિકેટકીપર), કેપી નવગિરે.

વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધના (વાઈસ કેપ્ટન), શેફાલી વર્મા, એસ. મેઘના, દીપ્તિ શર્મા, તાનિયા ભાટિયા (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, રેણુકા ઠાકુર, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ, ડી. હેમલતા, સિમરન દિલ બહાદુર, ઝૂલન ગોસ્વામી, જેમિમા રોડ્રિગ્સ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news