અમદાવાદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે, પહેલીવાર 35 મુમુક્ષ એકસાથે દીક્ષા લેશે

Jain Samaj Diksha : 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 35 લોકો દીક્ષા લેશે, દીક્ષા લેનારાઓમાં 11 વર્ષની ઉંમરનાં બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સામેલ છે 

અમદાવાદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે, પહેલીવાર 35 મુમુક્ષ એકસાથે દીક્ષા લેશે

Jain Samaj Diksha : અમદાવાદના આંગણે એક મોટો ધાર્મિક પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે. અમદાવાદ એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અમદાવાદમાં આગામી 18થી 22 એપ્રિલ દરમિયાન ભવ્યાતિભવ્ય દીક્ષા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. પોતાની સંપત્તિ, ધન, દૌલત બધી સુવિધાઓ ત્યજીને આ દીક્ષા સમારોહમાં 35 મુમુક્ષુ એકસાથે જૈન દીક્ષા લઈને સંયમનો માર્ગ અપનાવશે. આ માટે તડામાર તૈયારીઓ આરંભી દેવાઈ છે. 

દીક્ષા લેનારા 11 થી 56 વર્ષના
અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર નિર્માણ કરવામાં આવેલી ભવ્ય, દિવ્ય અને સુરમ્ય અધ્યાત્મ નગરીમાં પૂજ્ય આચાર્યદેવ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે મુમુક્ષુઓ દીક્ષા લેશે. 11 વર્ષની ઉંમરનાં બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષુઓ દીક્ષા લેશે. જૈન દીક્ષા લેનારા 35 મુમુક્ષુમાંથી કેટલાક વેપારી છે, તો કેટલાક વિદ્યાર્થી અને ગૃહિણી પણ છે. અમદાવાદમાં યોજાનારા આ મહોત્સવમાં અમદાવાદમાં રહેતા 9 મુમુક્ષુ દીક્ષા લેવા જઈ રહ્યા છે, જેમાં એક સંપૂર્ણ પરિવાર, એક પતિ-પત્નીની જોડી, એક સગાં ભાઈ-બહેન સહિત એક મુમુક્ષુ દીક્ષા લેવા જઈ રહ્યાં છે. જ્યારે 12 મુમુક્ષુ સુરતના છે. સુરતનો 25 વર્ષનો યુવક દીક્ષા લેશે, જે CA ઇન્ટરમીડિયેટ અને ગાયક-સંગીતકાર છે. આ પ્રસંગે દેશભરમાંથી મોટી સંખ્યાામા જૈન શ્રદ્ધાળુઓ હાજર રહેશે. દીક્ષા લેનારા ૩૫ મુમુક્ષુઓના વરસીદાનનો ભવ્ય વરઘોડો તા. ૨૧ એપ્રિલના સવાર કાઢવામાં આવશે, જેની લંબાઈ આશરે ૧ કિલોમીટર જેટલી હશે. જે 35 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવાના છે, તેમાં 10 મુમુક્ષુઓ તો 18 વર્ષની નીચેનાં છે. તેઓ પોતાનાં માતાપિતાની સંમતિથી દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે.

આખેઆખા પરિવારો દીક્ષા લેશે
સાબરકાંઠાના દિગ્ગ ઉદ્યોગપતિ ભાવેશ ભંડારી તેમના પત્ની જીનલ ભંડારી એકસાથે દીક્ષા લેવાના છે. દીક્ષા લેતા પહેલા ભંડારી પરિવાર 200 કરોડની સંપત્તિ દાન કરીને ચર્ચામાં આવ્યો છે. ભાવેશ ભંડારીના બંને સંતાનો બે વર્ષ અગાઉ દીક્ષા લઈ ચૂક્યા છે. તો આ સાથે સુરતનો ડાયમંડ ઉદ્યોગપતિનો પરિવાર પણ દીક્ષા લેશે. સુરતના શાહ પરિવારના દીકરાએ અગાઉ દીક્ષા લીધી હતી, જેના બાદ હવે માતાપિતા અને દીકરી દીક્ષા લેવા જઈ રહ્યાં છે. 

કોણ કોણ દીક્ષા લેશે
1. સુરતના સંજયભાઈ માણિકચંદ સાદરીયા ટેક્સટાઇલ માર્કેટમાં મોટા વેપારી છે. તેમના પુત્રે અને પુત્રીએ વર્ષ ૨૦૨૧માં દીક્ષા ગ્રહણ કરી હતી. હવે સંજયભાઈ અને તેમનાં શ્રાવિકા બીનાબહેન પણ દીક્ષા ગ્રહણ કરશે 
2. મુંબઈમાં રહેતા કાપડના વેપારી જશવંતભાઈ શાંતિલાલ શાહ અને તેમનાં શ્રાવિકા દીપિકાબહેન અમદાવાદમાં દીક્ષા ગ્રહણ કરવાનાં છે. તેમના બે જોડિયા પુત્રો અગાઉ જ દીક્ષા ગ્રહણ કરી ચૂક્યા છે.
3. જશવંતભાઈના નાના ભાઈ મુકેશભાઈના પરિવારમાં તેમનાં શ્રાવિકા મોનિકાબહેન ઉપરાંત પુત્ર હિત અને પુત્રી ક્રિશા છે. હવે સમગ્ર પરિવાર સર્વસ્વનો ત્યાગ કરવાનો છે.
4. સુરતમાં રહેતાં જગદીશભાઈ મહાસુખલાલ શાહ અને તેમનાં શ્રાવિકા શિલ્પાબહેન દીક્ષા અંગિકાર કરશે. તેમનો એકનો એક પુત્ર ૨૦૨૧માં દીક્ષા અંગિકાર કરી ચૂક્યો છે.
5. મુંબઈમાં રહેતી હીનલકુમારી સંજયભાઈ જૈન ડિજીટલ માર્કેટિંગમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે, જે દીક્ષા ગ્રહણ કરશે 
6. અમદાવાદનો મુકેશભાઈ ૧૨મા ધોરણમાં સમગ્ર સિરોહી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા, જે હવે દીક્ષા લેશે 
7. સુરતમાં રહેતા દેવેશ નંદિષેણભાઈ રાતડિયા ગાયક અને સંગીતકાર છે. જે દીક્ષા લેશે
8. અમદાવાદના ૧૮ વર્ષના હિત મુકેશભાઈ શાહ દીક્ષા લેશે 
9. સુરતનો હેત મયુરભાઈ શાહ 13 વર્ષની નાની વયે દીક્ષા લેશે

ગુજરાતનો કરોડપતિ પરિવાર સંયમના માર્ગે, દીકરા-દીકરી બાદ હવે માતા-પિતા દીક્ષા લેશે
 
કેવી રીતે લેવાય છે દીક્ષા
જૈન સમાજમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. જેમાં લોકો સાંસારિક મોહમાયા ત્યજીને સંયમનો માર્ગ અપનાવતા હોય છે. જેમાં લોકો પોતાની ધન, દૌલત બધુ જ પાછળ છોડીને સંયમના માર્ગે નીકળી જતા હોય છે. જૈન સમાજની આ વિધિ એક કઠિન પરીક્ષા છે. પરંતુ બધાની દીક્ષા મળતી નથી. જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવે છે. તેમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ બ્રહ્મચર્ય અને ઔચર્ય જેવા પાંચ મહાવ્રતનું પાલન કરવું પડે છે. સંસારના બધા જ મોહ ત્યજી દીક્ષાર્થીઓ ધન મિલકતનું દાન કર્યા પછી સમગ્ર જીવન પોતાની પાસે કોઈ પણ પ્રકારની ધન મિલકત રાખતા નથી. સંધ્યા બાદ આ જૈન સાધી સાધ્વીઓ ભોજન અને પાણી ગ્રહણ કરતા નથી તો બપોરે પણ ભોજન માટે ઘરોઘર ગોચરી લેવા જવું પડે છે. તો સાથે જ સમગ્ર જીવન વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ કર્યા વિના માત્ર સ્વાધ્યાય, સેવા અને વૈયાવચ દ્વારા જીવન નિર્વાહ કરવું પડે છે.

જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા પહેલા અનેક પ્રસંગો યોજાતા હોય છે. દીક્ષાર્થીઓ માટે માળા મુહૂર્ત, સ્વસ્તિક વિધિ યોજાયા બાદ તેમના સંપૂર્ણ ધન મિલકતનું દાન કરવા વર્શિદાન યોજવામાં આવે છે. પહેલાના સમયમાં દીક્ષાર્થીઓ જાહેર માર્ગ પર પોતાની પાસે રહેલી બધું ધન લોકોને દાન કરતા હતા જો કે હવે મોટાભાગે લોકો દીક્ષા સ્થળ પર હાજર લોકોને એક બાદ એક દાન આપતા હોય છે. આ દાન આર્થિક રૂપે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે અને લોકો મુમુક્ષુ આત્માઓના આશીર્વાદ રૂપ તેને સ્વીકાર કરે છે. વર્શિદાન બાદ તેમનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવે છે જે તેમના જીવનના આ મોટા બદલાવ માટે ખૂબ મહત્વ ધરાવે છે. વિદાય બાદ દીક્ષાર્થીઓ પોતાનું વેશ પરિવર્તન કરી રંગબેરંગી કપડાં મૂકી સાધુઓના સફેદ વસ્ત્ર ધારણ કરી પોતાના શરીરના વાળનું પણ ત્યાગ આપે છે. તો ગુરુ ભગવંતો દ્વારા દીક્ષાર્થીઓને પાઠ ભણાવ્યાના એક સપ્તાહ બાદ તેમની વડી દીક્ષા યોજાય છે જેમાં શાસ્ત્રોક્ત વિધિ થકી તેમને પૂર્ણરૂપે સાધુ માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news