દ્વારકામાં ધર્મયુદ્ધ છેડાયું : છઠ્ઠી ધજાના નિર્ણય પર બગડ્યા અબોટી બ્રાહ્મણો, વિવાદ નહિ ઉકેલાય તો કોર્ટમાં જશે

Dwarkadhish Temple : જગત મંદિર દ્વારકા મંદિરમાં દ્વારકાધીશને ધજા ચડાવવા મુદ્દે મંદિરના પૂજારીઓ કલેક્ટર આમને-સામને આવ્યા... અબોટી બ્રાહ્મણોએ તંત્રના એકતરફી નિર્ણયનો વિરોધ કર્યો, નોટિસ આપી ૩ દિવસમાં ખુલાસો માગ્યો 
 

દ્વારકામાં ધર્મયુદ્ધ છેડાયું : છઠ્ઠી ધજાના નિર્ણય પર બગડ્યા અબોટી બ્રાહ્મણો, વિવાદ નહિ ઉકેલાય તો કોર્ટમાં જશે

Gujarat Temples દ્વારકા : દ્વારકાધીશ મંદિર માટે તાજેતરમાં એક ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. ભગવાન દ્વારકાધીશજીના મંદિરના શિખર પર ધજા ચઢવાની પરંપરા પહેલીવાર બદલાઈ છે. હવેથી જગત મંદિરમાં 5ને બદલે 6 ધજા ચડાવવામાં આવશે. ત્યારે આ નિર્ણયનો મંદિર પર ધજા ચઢાવતા અબોટી બ્રાહ્મણો દ્વારા વિરોધ કરાયો છે. જગત મંદિર પર ધજારોહણ કરતા અબોટ બ્રાહ્મણ સમુદાયના ત્રિવેદી પરિવારે ધજા આરોહણનો નિર્ણય એકતરફી લેવાયો હોવાનું જણાવ્યું, તેમજ તેનો વિરોધ પણ કર્યો. તેઓએ આ અંગે દેવસ્થાન સમિતિને નોટિસ ફટકારી છે. તેમજ 3 દિવસમાં આ નિર્ણય અંગે ખુલાસો માંગ્યો છે. સાથે જ પોતાના સમુદાયના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટના દરવાજા ખખડાવવાની પણ ચીમકી આપી છે. 

તાજેતરમાં લેવાયો હતો આ નિર્ણય
પંદર દિવસ પહેલા દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર દરરોજ છ ધજાજી ચઢાવવાનો નિર્ણય જિલ્લા કલેકટર તેમજ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ચેરમેન અશોક શર્માના અધ્યક્ષસથાને મળેલી બેઠકમાં લેવાયો હતો. જે મુજબ, હવેથી દ્વારકાધીશના મંદિરના શિખર પર છ ધ્વજારોહણ થશે. આ માટે ધજાની ફાળવણી ઓનલાઈન પોર્ટલથી કરવામાં આવશે. 1 નવેમ્બર, 2023થી પોર્ટલ શરૂ કરવામાં આવશે. જે માટે માસિક ડ્રો દ્વારા ભક્તો ધજા ફાળવવામાં આવશે. હાલમાં ચડાવવામાં આવતી પાંચમી ધ્વજા અને મંજૂર થયેલી છઠ્ઠી ધ્વજા માસિક ડ્રો દ્વારા ફાળવવામાં આવશે. આ ડ્રો દર મહિનાની 20મી તારીખના રોજ કરવામાં આવશે. ડ્રો દરમિયાન દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના સભ્ય હાજરીમાં ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવશે. આ વ્યવસ્થા ઓનલાઈન પોર્ટલ કાર્યરત થવા સુધી ચાલુ રહેશે. પોર્ટલ શરૂ થયા બાદ ધ્વજાની ફાળવણી પોર્ટલ મારફતે કરવામાં આવશે. 

અબોટી બ્રાહ્મણોની સહમતિ ન લેવાઈ
ધ્વજાવાળા ત્રિવેદી પરિવાર અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના લોકોનું કહેવુ છે કે, છઠ્ઠી ધજાના નિર્ણય વખતે અમારા પરિવારની કોઈ સહમતિ લેવાી નથી. અગાઉ તેઓને પ્રથમ મીટિંગમા બોલાવાયા હતા. પરંતુ બાદમાં તેમનો અભિપ્રાય ન લેવાયો. તેથી તેઓએ પોતાની સેફ્ટી અંગે સવાલો ઉઠાવ્યા છે. સાથે જ સલામતીની માગણી પૂરી નહિ કરાયે તો નાછૂટકે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંગે ન્યાયાલયની દાદ માગવાની પણ ચીમકી ઉચ્ચારી છે. 

ઉલ્લેખનીય છે કે, દ્વારકા મંદિરમાં અબોટી બ્રાહ્મણોને જ ધજા ચઢાવવાનો અધિકાર મળ્યો છે. તેથી તેમને વિશ્વાસમાં લીધા વગર તંત્ર દ્વારા આ નિર્ણય લેતા મામલો વકર્યો છે. 

રોજ 5 ધજા ચઢે છે 
દ્વારકા મંદિરની વર્ષોથી પરંપરા છે કે રોજ મંદિરને પાંચ ધજા ચઢે. નિયમિત સમયે મંદિરમાં પાંચ ધજા ચઢતી હોય છે. મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડીઓ હોય છે કે મશીનના દ્વારા મંદિર પર ધજા લહેરાવાય છે. પરંતુ દ્વારકા મંદિરનું એવુ નથી. દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી 6 પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચઢાવવાનુ કામ કરે છે. 

અબોટી બ્રાહ્મણો ચઢીને જ ધજા ચઢાવે છે
જે અબોટી બ્રાહ્મણો મંદિર પર ધજા ચઢાવવાનુ કામ કરે છે, તેમની ખાસિયત એ છે કે તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ એક પ્રકારનું મોટુ સાહસ છે. જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર ચઢીને ધજા ચઢાવવી એ કોઈ જોખમ અને સાહસથી ઓછુ નથી. મંદિરના સીધા શિખર પર કપરા ચઢાણ કરવા પડે છે. છતાં ગમે તે મોસમ હોય, ગમે તેટલી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ વરસતો હોય, આ પ્રથા ક્યારેય તૂટતી નથી. અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનુ ક્યારેય ચૂકતા નથી. પરંતુ આ આ કામમાં મોટુ જોખમ રહેલું છે. ખાસ કરીને ચોમાસું અને ભારે પવન હોય ત્યારે. જોકે, આવા સમયે પણ પ્રથા તો બંધ કરાતી જ નથી. અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનુ ચૂક નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. વરસાદ વધુ હોય કે પવન તેજ હોય તો પણ ધજા તો ચઢે છે. પરંતુ તેની ઊંચાઈ કરતા ઓછી હાઈટ પર ચઢાવાય છે. જેથી અબોટી બ્રાહ્મણનો જીવ જોખમાય નહિ. 150 ફૂટના શિખર પર આવા સમયે થોડી નીચે એટલે કે 20 ફૂટના અંતરે ધજા ચઢાવાય છે. 

આ વિશે દ્વારકા મંદિરના પૂજારી દીપકભાઈ રમણીકભાઈ પૂજારી કહે છે કે, દ્વારકા મંદિરમાં અડધી કાઠીએ ધજા ચઢાવવા જેવો કોઈ શબ્દ જ નથી. કારણ કે, પરંપરા મુજબ ધજા વર્ષોથી ધજા ચઢે જ છે. અડધી કાઠી એટલે કંઈ બન્યુ હોય તો આવો શબ્દ વપરાત. પરંતુ દ્વારકા મદિરમાં જે ધજા અડધે ચઢે છે તેને અડધી પાટલીએ પાટલીએ ધજા કહેવાય છે. લોકો તેનુ અર્થઘટન ખોટુ કરે છે. ધજા ચઢે તો છે પણ પાંચ ફૂટ નીચે છે. કારણ કે, ધજા ચઢાવવા ન તો કોઈ સીડી છે, ન તો કોઈ સાધન છે. અબોટી બ્રાહ્મણો મંદિર પર જાતે 150 ફૂટ ઊંચે ચઢે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે. 

તેમની આસ્થા છે કે તેઓ પાતાના હાથથી ધજા ચઢાવે છે. અત્યાર સુધી માત્ર એક જ વાર અકસ્માત થયો હતો કે, ધજા ચઢાવતા સમયે બ્રાહ્મણ નીચે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને સેફ્ટીના સાધનો પણ આપવામા આવ્યા છે. છતા એ લોકો કોઈ સેફ્ટીનો ઉપયોગ કરતા નથી. કારણ કે તેઓ માને છે કે, પ્રભુ તેમની રક્ષા કરે છે. માત્ર એક જ વાર અકસ્માત થયો છે. તે જોખમી કહેવાય, પણ વિષય આસ્થાનો છે. પરંપરા અટકતી નથી, ગમે તેવા તોફાનમાં પણ દિવસે પાંચ દિવસ ધજા નિયમિત ચઢે જ છે. ધજા ચઢાવતા સમયે અબોટી બ્રાહ્મણ લસરી ન જાય તે માટે થોડી નીચે ધજા ચઢાવાય છે. લોકો અડધી કાઠીથી ખોટુ અર્થઘટન કરે છે તેવુ કહેતા તેઓ જણાવે છે કે, દ્વારકા મંદિર માટે અડધી કાઠીએ ધજા એ શબ્દ યોગ્ય ન કહેવાય. આ શબ્દ સોશિયલ મીડિયાથી ફેલાયો છે. જેનાથી લોકો ગેરમાર્ગે દોરાય છે. 2001 માં આવેલા ભૂકંપ અને ગત વર્ષે તૌકતે સમયે પણ મંદિરમાં ધજા તો ચઢી જ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news