Pics : ગુજરાતના ચાર ગુમનામ ચહેરાઓને મળ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, દિલ ખોલીને કરી વાત...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) નવા વર્ષ પર દેશભરના 60 જેટલા પોતાના ક્ષેત્ર ના જાણકાર લોકોને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરી તેમની પોતાના ક્ષેત્રની કામગીરીને દેશના વિકાસમાં કેવી રીતે સહભાગી બનાવી શકાય છે તેની ચર્ચા કરી. જેમાં ગુજરાતથી પણ 4 લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. 

હિતેન વિઠલાણી/દિલ્હી :ભલે નામ ફેમસ ન હોય, પણ તમારું કામ તો મોટું હોવુ જ ખપે, પછી ભલેને તેની ઓળખ લોકો સુધી મોડી થાય, અને જ્યારે આ ઓળખ દેશની ટોચની હસ્તી તરફથી થાય તો વાત જ કંઈક અલગ હોય કહેવાય. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કાશ્મીરથી કચ્છ સુધી અને બંગાળથી લઈને કેરળ સુધી ચૂપચાપ સમાજનું કામ કરતા અનેક ચહેરાઓને રાષ્ટ્રપતિ ભવનમાં નવા વર્ષ પર ખાસ વીઆઈપી મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતા. સાધારણ જેવા લાગતા આ લોકોનું કામ બહુ જ વિશેષ છે, જે સમાજને સકારાત્મક બદલાવ લાવે છે. રાષ્ટ્રપતિ (President of India) એ દિલ ખોલીને તેઓના વખાણ કર્યાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) નવા વર્ષ પર દેશભરના 60 જેટલા પોતાના ક્ષેત્ર ના જાણકાર લોકોને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરી તેમની પોતાના ક્ષેત્રની કામગીરીને દેશના વિકાસમાં કેવી રીતે સહભાગી બનાવી શકાય છે તેની ચર્ચા કરી. જેમાં ગુજરાતથી પણ 4 લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગુજરાતથી કચ્છના પૌરાણિક હસ્તકલાના જાણકાર ડૉ. ઇસ્માઇલ ખત્રી (Ismail Khatri), જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઉમદા કામ કરનાર બિપ્લબ કેતન પોલ (Biplab Ketan Paul), વંચિતોના ઉદ્ધારક મિત્તલ પટેલ (Mittal Patel) અને સ્માર્ટ વિલેજના સર્જક હિમાંશુ પટેલ (Himanshu Patel)ની કામગીરીને તેઓએ બિદરાવી હતી. તેમજ તેઓની સાથે ચર્ચા કરી. તેઓને રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ ઝી 24 કલાક સાથે વાતચીત કરી. જુઓ રિપોર્ટ..

1/5
image

3 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ 4 ગુજરાતીઓનું ખાસ સન્માન કર્યું હતું. તેમણે કરેલાં કાર્યો બિરદાવ્યા હતા. સાથે જ આગામી દિવસોમાં ગ્રામીણ વિકાસ બાબતે તેમની પાસેથી જાણકારી મેળવી હતી. જેમાં તેઓ કચ્છની 5 હજાર વર્ષ પૌરાણિક અજરખબાટિક હસ્તકલાના જાણતલ ઇસ્માઇલ ખત્રી, જળ વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રે ઉમદા કામ કરનાર બિપ્લબ કેતન પોલ (અમદાવાદ), રખડતું ભટકતું જીવન ગુજારતા વંચિતોનાં ઉદ્ધારક મિત્તલ પટેલ (અમદાવાદ, શંખલપુર) તેમજ પુંસરીને શહેરોને પણ ટક્કર મારે તેવું ગામ બનાવી દેશને પ્રથમ મૉડેલ વિલેજ આપનાર હિમાંશુ પટેલ (સાબરકાંઠા)ને મળ્યા હતા.

હસ્તકલાના જાણતલ કચ્છીમાંડું ઇસ્માઇલ ખત્રી (કચ્છ)

2/5
image

ભૂજથી 10 કિમીના અંતરે આવેલા અજરખપુર ગામના અભણ એવા ઇસ્માઇલ ખત્રી 5000 વર્ષ જૂની અજરખબાટિક હસ્તકલા આજે પણ રખોપી રહ્યા છે. અજરખબાટિક હસ્તકલાનો વિશ્વમાં ફેલાવનાર ઇસ્માઇલ ખત્રીને યુકેની ડી મોન્ટફોર્ટ યુનિ.એ 2002માં ખાસ લંડન બોલાવી ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કર્યા હતા. યુનેસ્કો દ્વારા સીલ ઓફ એક્સેલન્સ એવોર્ડથી નવાજાયા હતા. અજરખ બ્લોક પ્રિન્ટીંગના તેઓ અચ્છા કારીગર છે.

વંચિતોના વણોતર મિત્તલ પટેલ (અમદાવાદ)

3/5
image

મહેસાણાના શંખલપુર ગામમાં ઉછરેલી ખેડૂત પુત્રી અહીંની જ શાળામાં ભણી ગણી અને કલેક્ટર બનવાનાં સપના સાથે અમદાવાદ આવી. અભ્યાસના ભાગરૂપે અચાનક લોકસેવાના ક્ષેત્રમાં પહોંચી ગયાં. કલેક્ટર બનવાનું સપનું છોડી સરનામાં વગરનાં, રખડતું ભટકતું જીવન જીવતાં હજારો પરિવારોને સરનામું અપાવ્યું. દેહવિક્રયના વમળમાં ખૂંપેલી વાડિયાની અનેક મહિલાઓને ઉગારી. રાષ્ટ્રપતિના હસ્તે નારીશક્તિ પુરસ્કાર સહિત અનેક સન્માન મેળવી ચૂક્યાં છે.  

પાણીદાર માણસ બિપ્લબ કેતન પોલ (અમદાવાદ)

4/5
image

ઉત્તર ગુજરાતના સૂકા પ્રદેશમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અદ્વિતીય કામગીરી કરી છે. તેમણે વિકસાવેલી ‘ભૂંગરું’ નામની ટેકનિક પાણી રિચાર્જ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા છે. દુષ્કાળની સ્થિતિ પણ ભૂંગરું દ્વારા સંગ્રહિત પાણીથી ખેડૂતો વર્ષે બે પાક મેળવે છે. પાટણ જિલ્લાના પાંચ ગામોમાં સૌપ્રથમ ભૂંગરું બનાવ્યા હતા. એક ભૂંગરું 15 એકર જમીનની સિંચાઇની જરૂરિયાત પૂરી કરે છે, જે વર્ષમાં બે વાર જમીનને ઉત્પાદક બનાવે છે.

હિમાંશુ પટેલ, સ્માર્ટ વિલેજના સર્જક

5/5
image

પુંસરીને દેશનું પ્રથમ સ્માર્ટ વિલેજ બનાવનાર સરપંચ. વર્ષ 2006માં નાની વયે સરપંચ બની 2013માં ભારતની નંબર 1 ગ્રામ પંચાયત બનાવી. આ પૂર્વ સરપંચે વિકસાવેલા મોડલ ગ્રામ પર હાલ દેશના 10 હજાર સરપંચો કામ કરી રહ્યા છે. તો છેલ્લા 3 વર્ષમાં 2 લાખથી વધુ લોકો તેમની મુલાકાત લઈ ચૂક્યા છે. હિમાંશુ પટેલના આ સફળ કામને ધ્યાને લઇ ભારત સરકારના કુપોષણ મુક્ત ભારતના પ્રોજેક્ટ માટે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂંક કરાઇ છે.