Pics : ગુજરાતના આ ગામમાંથી દેખાય છે સાંજે રોશનીથી ઝળહળતું પાકિસ્તાનનું કરાંચી શહેર

ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની સરહદે આવેલો જિલ્લો એટલે કચ્છ. કચ્છ જિલ્લો ભારતનો છેડો કહેવાય છે. આ જ છેડા પાસે સાવ છેવાડે વસેલું ગામ એટલે કોટેશ્વર. લખપત જિલ્લામાં સમુદ્ર કાંઠે આવેલું આ સુંદર ગામ એટલું રળિયામણું છે કે જોતા જ કોઈની આંખોમાં વસી જાય. આ ગામની ખાસિયત એ છે કે, ગામનો સામો છેડો એટલે પાકિસ્તાન. સામા કાંઠે આવેલું પાકિસ્તાનનું કરાંચી શહેર અહીંથી સ્પષ્ટ જોઈ શકાય છે. તેમાં પણ રાત્રે કરાંચી શહેરની રોશનીની એક ઝલક જોવા માટે અહીં દેશવિદેશમાંથી મુસાફરો આવે છે. (તસવીર સાભાર ફેસબુક)

1/4
image

કોટેશ્વર ગામનું મુખ્ય આકર્ષણ અહીંનું કોટેશ્વર મહાદેવ મંદિર છે, જે સાગર તટે બનાવાયેલું છે. આ મંદિર કોટિ શિવલિંગોના કારણે ફેમસ છે. કોટેશ્વરનું મંદિર એટલું મનમોહક છે કે અહીં આવનાર આખો દિવસ અહીં પત્થરો પર બેસીને સમય પસાર કરી શકે છે. જ્યાં કિનારે સૂસવાટા મારતો દરિયો મંદિરના ચરણે આવતો રહે છે. મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી છે. આ મંદિર હોવા પાછળનું રહસ્ય રાવણ સાથે સંકળાયેલું છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે, રાવણને તેની તપસ્યાના ફળ રૂપે ભગવાન શિવે તેને એક શિવલિંગ આપ્યું હતું. જે આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું શિવનું વરદાન હતું. બીજી વાર્તા એમ પણ છે કે, રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મૂકી દીધું હતું, અને તે કોટેશ્વરની આ મંદિરવાળી જગ્યા પર પડ્યું હતું. રાવણની આ બેદરકારીની સજારૂપે અહીં હજારો શિવલિંગ સર્જાયા હતા. જેમાંથી રાવણ મૂળ શિવલિંગ પારખી શક્યો ન હતો, અને ખોટું શિવલિંગ ઉંચકીને ચાલવા લાગ્યો હતો. આમ, મૂળ શિવલિંગ તો ત્યાં જ રહી ગયું હતું. આમ અહીં કોટેશ્વર મંદિર બન્યું હતું. (તસવીર સાભાર વીકિપીડિયા)

2/4
image

અગાઉ કોટેશ્વર સુધી પહોંચવા માટે યોગ્ય વ્યવસ્થા ન હતી, પરંતુ અહીં રોડ-રસ્તા વિકસ્યા હોવાથી અહીં આવવું સરળ બની ગયું છે. અહીં મુસાફરોને રહેવા માટે કોટેશ્વરથી 2 કિલોમીટરના અંતરે અનેક ધર્મશાળાઓ આવેલી છે. તેમજ નારાયણ સરોવરમાં પણ રહેવાથી વ્યવસ્થા થઈ શકે છે. જે કોટેશ્વરથી 4 કિલોમીટર દૂર છે. (તસવીર સાભાર વીકિપીડિયા)

3/4
image

કોટેશ્વરમાં ફરવા માટે બીજા અનેક પૌરાણિક મંદિરો છે. અહીં કુંડ પણ આવેલા છે. પૌરાણિક ગુફાઓમાં અહીં ખાપરા કોડિયાની ગુફાઓ, લક્ષ્મણ ગુફાઓ તથા બૌદ્ધ ગુફાઓ જોવાલાયક છે. (તસવીર સાભાર ફેસબુક)

4/4
image

કોટેશ્વર ગામની રોમાંચક માહિતી એ છે કે, તે કોઈ ગુજરાતીએ નહિ, પણ ફેમસ ચીની મુસાફર હ્યુ-એન-ત્યાંગે તેની શોધ કરી હતી. હ્યુ-એન-ત્યાંગના વર્ણન મુજબ, આ સ્થળે શૈવ મંદિર અને પાશુપત સાધુઓ હતા. ગામથી કોટેશ્વર મંદિર  એક કિલોમીટર દૂર છે. આ મંદિર 1877માં બંધાયેલું હોવાનો ઉલ્લેખ છે. જે તેના દરવાજે લખેલા લેખ પરથી જાણી શકાય છે. (તસવીર સાભાર ફેસબુક)