પીએમ મોદીએ આખી રાત જાગીને જૈશના શિબિરો પર હવાઈ હુમલા પર નજર રાખી હતીઃ સૂત્ર

પીએમ મોદી એર સ્ટ્રાઈકમાં સામેલ લોકોને સવારે લગભગ સાડા ચાર કલાકે અભિનંદન આપ્યા બાદ પોતાની નિયમિત દિનચર્યામાં વ્યસ્ત થઈ ગયા હતા 

પીએમ મોદીએ આખી રાત જાગીને જૈશના શિબિરો પર હવાઈ હુમલા પર નજર રાખી હતીઃ સૂત્ર

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાન વહેલી પરોઢે જ્યારે પાકિસ્તાનની ધરતી પર આવેલા જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને નિશાન બનાવી રહ્યા હતા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખી રાત જાગીને આ સમગ્ર અભિયાન પર નજર રાખી રહ્યા હતા. પાકિસ્તાનમાં હુમલો કરવા ગયેલા તમામ વિમાન અને પાઈલટ જ્યારે સુરક્ષિત સ્વદેશ પાછા આવ્યા ત્યારે જ પીએમ મોદી આરામ કરવા ગયા હતા. સરકારી સૂત્રોએ આ માહિતી આપી હતી. 

વડા પ્રધાન મોદી અભિયાનમાં સામેલ લોકોને વહેલી સવારે સાડા ચાર કલાકે અભિનંદન પાઠવ્યા બાદ પોતાની નિયમિત દિનચર્યામાં વ્યસ્ત બન્યા હતા. કેમ કે વડા પ્રધાન નિવાસસ્થાને વહેલી સવારે 10 કલાકે મંત્રીમંડળ સુરક્ષા બાબતોની સમિતિની બેઠક સહિત તેમને આખા દિવસનો વ્યસ્ત કાર્યક્રમ પૂર્વનિર્ધારીત હતો. 

મંત્રીમંડળની બેઠક બાદ તેઓ રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વર્ષ 2015થી 2018 સુધીના 'ગાંધી શાંતિ પુરસ્કાર' આપ્યા હતા. ત્યાર પછી પીએમ મોદી એક રેલી માટે રાજસ્થાન ગયા અને ત્યાંથી નવી દિલ્હી પાછા આવીને ઈસ્કોન મંદિરના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. નામ જાહેર ન કરવાની શરતે એક સૂત્રએ જણાવ્યું કે, "વડાપ્રધાન આખી રાત એક ઝોકું પણ માર્યું નથી અને આ સમગ્ર અભિયાન સાથે અંત સુધી જોડાયેલા રહ્યા હતા."

સૂત્રોએ જણાવ્યું કે, સોમવારે રાત્રે પીએમ મોદીએ તાજ પેલેસ હોટલમાં એક ટીવી ચેનલના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને લગભગ 9.15 કલાકે લગભગ ઘર માટે રવાના થયા હતા. 10 મિનિટમાં 7, લોકકલ્યાણ માર્ગ ખાતે પોતાના નિવાસસ્થાને પહોંચેલા પીએમ મોદીએ હળવું ભોજન લીધું હતું અને પછી આ અભિયાન સાથે જોડાઈ ગયા હતા. 

સૌથી પહેલા તેમણે આતંકવાદી શિબિરો પર હવાઈ હુમલાની તૈયારીઓની વિગતો મેળવી હતી. હજુ એ સ્પષ્ટ નથી કે તેઓ પોતાના ઘરે હતા કે પછી કોઈ બીજા સ્થળે જ્યાં એક કન્ટ્રોલ રૂમમાં ઐતિહાસિક ઘટનાક્રમ પર નજર રાખવામાં આવી રહી હતી. 

વડા પ્રધાનના નજીકના સૂત્રએ જણાવ્યું કે, વડા પ્રદાન અભિયાન દરમિયાન અને ત્યાર બાદ સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વાયુસેના પ્રમુખ બી.એસ. ધનોઆ સાથે સતત સંપર્કમાં હતા. સૂત્રએ જણાવ્યું કે, અભિયાન જ્યારે સંપૂર્ણ થઈ ગયું ત્યારે તેમણે અધિકારીઓ પાસે આ હવાઈ હુમલામાં સામેલ તમામ પાઈલટોની કુશળતા અંગે માહિતી મેળવી હતી. જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું કે તમામ પાઈલટ સુરક્ષિત છે ત્યારે વડા પ્રધાન ત્યાંથી છૂટા પડ્યા હતા અને પછી તેમણે બીજી બાબતોમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news