બંધારણમાં સુધારો કર્યા વગર એક રાષ્ટ્ર એક ચૂંટણી સંભવ નથીઃ ચૂંટણી પંચ

ચૂંટણી પંચે કહ્યું કે, દેશમાં એક સાથે ચૂંટણી યોજવી ત્યાં સુધી સંભવ નથી જ્યાં સુધી બંધારણમાં સુધારો કરવામાં ન આવે. 

બંધારણમાં સુધારો કર્યા વગર એક રાષ્ટ્ર એક ચૂંટણી સંભવ નથીઃ ચૂંટણી પંચ

નવી દિલ્હીઃ એક તરફ કેન્દ્ર સરકાર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે કરાવવાને લઈને તમામ પક્ષોની સહમતિ મેળવવામાં લાગેલી છે, તો ચૂંટણી આયોગે ફરી કહ્યું કે, જ્યાં સુધી બંધારણાં સુધાનો ન થાય ત્યાં સુધી દેશમાં એક સાથે ચૂંટણી યોજવી સંભવ નથી. 

મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવત હાલમાં બે દિવસના મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેઓ ભોપાલમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યાં છે. આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા રાવતે કહ્યું કે, દેશની સિસ્ટમ એકસાથે ચૂંટણી યોજવા માટે તૈયાર નથી. એક સાથે ચૂંટણી યોજવી દેશના હિતમાં છે, પરંતુ તે માટે પહેલા સિલ્ટમમાં ફેરફાર કરવો પડશે અને આ ફેરફાર બંધારણમાં સુધારો કરીને કરી શકાય છે. 

વન નેશન વન પોલ પર તેમણે કહ્યું કે, હાલમાં તેની કોઈ શક્યતા નથી. તેમણે એટલું જરૂર કહ્યું કે, જે રાજ્યોમાં આ વર્ષે અથવા તો આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે તેની ચૂંટણી લોકસભાની સાથે કરાવી શકાય છે. પરંતુ દેશભરમાં આમ કરવું શક્ય નથી. 

મધ્યપ્રદેશમાં સમય પર ચૂંટણી યોજાવાના સવાલ પર તેમણે કહ્યું કે, મારૂ રાજ્યમાં આવવું સમય પર ચૂંટણી યોજાવાનું પ્રમાણ છે. 

મુખ્ય ચૂંટણી કમિશને અન્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડા અને અશોક લોસાએ રાજ્યના અધિકારીઓ અને રાજકીય પક્ષોની સાથે બેઠક કરીને આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને ચર્ચા કરી હતી. 

— ANI (@ANI) August 29, 2018

મહત્વનું છે કે ચૂંટણી પંચે આ પહેલા પણ એકસાથે ચૂંટણી યોજવાની સંભાવનાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ કેન્દ્ર સરકાર આ મુદ્દા પર તમામ રાજકીય પક્ષોને એકસાથે લાવવા માટે પ્રયત્ન કરી રહી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ વિરોધી પક્ષો સાથે મુલાકાત કરીને તેની સમહતિ મેળવવામાં લાગ્યા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news