PM મોદીની એક જ ક્લિકથી એક કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચ્યાં 2000 રૂપિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આજે ખેડૂત સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. આ  કાર્યક્રમમાં પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં.

PM મોદીની એક જ ક્લિકથી એક કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચ્યાં 2000 રૂપિયા

ગોરખપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આજે ખેડૂત સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. આ  કાર્યક્રમમાં પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. જે હેઠળ આજે 1.1 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા પહોંચ્યાં. આ યોજના હેઠળ 12 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થવાના છે. પહેલો હપ્તો 31 માર્ચ સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. પીએમ મોદીએ આ ઉપરાંત દેશની સૌથી મોટી પાઈપલાઈન કંડલા-ગોરખપુરની આધારશીલા પણ રાખી.  આ ઉપરાંત એક ભવ્ય કાર્યક્રમમાં લાભાર્થી ખેડૂતોને 2000ના ચેક પણ વિતરીત કરાયા. પીએમ મોદીએ આ અવસરે પૂર્વાંચલ વિકાસ સંબંધિત 9888 કરોડની વિભિન્ન યોજનાઓનો શિલાન્યાસ/લોકાર્પણ પણ કર્યાં.

પીએમ મોદીએ કહ્યું કે આ તો હજુ શરૂઆત છે. દર વર્ષે 75000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા પહોંચવાના છે. પીએમ મોદીએ  કહ્યું કે રાજ્ય સરકારોએ કશું કરવાનું નથી. બસ પ્રમાણીકતાથી યોગ્ય સૂચિ બનાવવાની છે અને લિસ્ટ અમને આપવાની છે. જેટલું જલદી આ સૂચિ આવશે એટલું સારું રહેશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે કેટલીક રાજ્ય સરકારો એવી છે કે જેમની ઊંઘ હજુ ઉડી નથી. તેમણે કહ્યું કે જો આ રાજ્યોના ખેડૂતો લાભથી વંચિત રહી જશે તો તેમની બદદુઆઓ તમારું રાજકારણ ખતમ કરી નાખશે. 

અત્રે જણાવવાનું કે સરકારે નાણાકીય વર્ષ 2019-20ના વચગાળના બજેટમાં પીએમ ખેડૂત યોજનાની જાહેરાત કરી હતી. જે મુજબ બે હેક્ટર જમીન ખેડનારા 12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની કેશ મદદ કરવાની જાહેરાત કરાઈ હતી. 

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આવતી કાલ એક ઐતિહાસિક દિવસ છે! વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિની શરૂઆત ગોરખપુરથી થશે. આ યોજનાથી આકરી મહેનત કરનારા કરોડો ભારતીય ખેડૂતોની આકાંક્ષાઓને પાંખો લાગશે. જે આપણા દેશનું પોષણ કરે છે. તેમણે કહ્યું કે આવતી કાલે  પીએમ ખેડૂત સન્માન નિધિની શરૂઆત બે વસ્તુઓ દર્શાવે છે: ખેડૂતોના કલ્યાણ પ્રત્યે એનડીએની અતૂટ પ્રતિબદ્ધતા અને ઝડપી નિર્ણયની પ્રક્રિયા-- પહેલી ફેબ્રુઆરીએ જાહેર થયેલી યોજના ખુબ ઓછા સમયમાં અમલીકરણનું રૂપ લઈ રહી છે. આ નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિ છે. 

આ યોજના આ નાણાકીય વર્ષથી જ લાગુ થઈ ગઈ છે અને આ જ કારણ છે કે ખેડૂતોને માર્ચના અંત સુધીમાં બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો પણ મળી જશે. આ યોજના કૃષિ ક્ષેત્રની મુશ્કેલીઓને દૂર કરવાની કેન્દ્રની કોશિશોનો ભાગ છે. અનાજના બમ્પર ઉત્પાદનના કારણે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી. શેરડી, કપાસ અને અન્ય પાકના મામલે પણ આ જ સ્થિતિ છે. જેના કારણે ખેડૂતોમાં નારાજગી છે. 

કેન્દ્રીય  કૃષિ મંત્રાલયે શનિવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે લઘુ અને સીમાંત ખેડૂતોને નિશ્ચિત આવક મદદ માટે સરકાર વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિની શરૂઆત કરી રહી છે. નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ નથી કે રવિવારે કેટલા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો પહેલો હપ્તો જમા કરાવાશે.

જો કે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સહિત 14 રાજ્યોના એક કરોડથી વધુ ખેડૂતોને રવિવારે બે હજાર રૂપિયા અપાશે. આ ઉપરાંત 28 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના લોકોને આ લાભ આગામી બે-ત્રણ દિવસમાં આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news