#Me Tooના આરોપો બાદ કોંગ્રેસે એમ.જે. અક્બરના રાજીનામાની માગણી કરી

મહિલાઓ દ્વારા જાતિય સતામણીના લગાવાયેલા આરોપો અંગે એમ.જે.અક્બરને ખુલાસો કરવા જણાવ્યું, મૌન રહેવાથી નહીં ચાલે

#Me Tooના આરોપો બાદ કોંગ્રેસે એમ.જે. અક્બરના રાજીનામાની માગણી કરી

નવી દિલ્હીઃ જાતિય સતામણીના આરોપો લાગ્યા બાદ કોંગ્રેસ દ્વારા બુધવારે કેન્દ્રીય મંત્રી એમ.જે. અક્બરના રાજીનામાની માગણી કરવામાં આવી છે અને સાથે આરોપોનું તથ્ય જાણવા તપાસ કરવાની પણ માગ કરી છે. કોંગ્રેસના નેતા જયપાલ રેડ્ડીએ જણાવ્યું કે, 'કેન્દ્રીય મંત્રી એમ.જે.અક્બરે તેમના પર લાગેલા આરોપો અંગે સંતોષકારક ખુલાસો કરવો જોઈએ અથવા તો પછી તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. આ સમગ્ર મામલે તપાસ થાય એવી અમારી માગ છે.'

કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી પાસેથી તેમના પર લાગેલા આરોપો અંગે જવાબ આપવા જણાવાયું છે અને કહ્યું છે કે મૌન રહેવું કોઈ વિકલ્પ નથી. કોંગ્રેસ પ્રવક્ત મનીષ તિવારીએ જણાવ્યું કે, "આ એક અંત્યત ગંભીર બાબત છે અને એક મંત્રી તેના અંગે જવાબ આપવો જોઈએ. મૌન કોઈ રસ્તો નથી. આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ. અમે જે મંત્રી સામે આરોપો લાગ્યા છે તેની પાસેથી અને વડા પ્રધાન પાસેથી આ મુદ્દે જવાબ સાંભળવા માગીએ છીએ."

જોકે, કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે મૌન છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પણ જ્યારે પુછવામાં આવ્યું કે શું સરકાર કેન્દ્રીય મંત્રી સામે કોઈ પગલાં લેશે તો તેમણે જવાબ ઉડાવી દીધો હતો. એક વીડિયોમાં એક પત્રકાર સુષ્મા સ્વરાજને પ્રશ્ન પુછતો જોવા મળ્યો છે કે,"ગંભીર આરોપો લાગ્યા છે... જાતિય સતામણીના આરોપો લાગ્યા છે. તમે એક મહિલા મંત્રી છો. તો શું આ આરોપો અંગે કોઈ તપાસ કરવામાં આવશે?" જોકે, પત્રકારના આ પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ સુષમા સ્વરાજે ચાલતી પકડી હતી. 

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ આ મુદ્દે કોઈ જવાબ આપ્યો ન હતો. સંબિત પાત્રાને જ્યારે પત્રકારોએ પુછ્યું કે, શું સરકાર આ અંગે કોઈ પલગાં લેશે તો તેમણે જવાબ આપ્યો હતો કે, તેઓ તો માત્ર ગુજરાતમાં પરપ્રાંતિયોને મુદ્દે કોંગ્રેસની ભૂમિકા અંગે પત્રકાર પરિષદ સંબોધવા આવ્યા છે, અન્ય કોઈ પ્રશ્નનો જવાબ આપશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news