સમગ્ર દેશને હચમચાવી દેનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી


 
સુરત સહિત દેશને રડાવનાર આ અગ્નિકાંડનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. જે 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. તેને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 
 

 સમગ્ર દેશને હચમચાવી દેનાર સુરત તક્ષશિલા અગ્નિકાંડની આજે પ્રથમ વરસી

તેજસ મોદી/સુરતઃ બરોબર આજથી એક વર્ષ પહેલાં સુરતમાં  દેશને હચમચાવી દેનારી એક ઘટના બની હતી. 24મી મે, વર્ષ 2019... સમય સાંજના 4 કલાક આસપાસ... વાત છે સુરતમાં તક્ષશિલામાં થયેલા અગ્નિકાંડની... આ ઘટનાના દ્રશ્યો જોઈને અનેક લોકોની આંખમાં આસું આવી ગયા હતા... એ ગોઝારો દિવસ કોઈ પણ ભૂલી શકે તેમ નથી, આ જ દિવસે સાંજે ચાર વાગ્યે એવી ઘટના બની કે તેને એક બે નહીં પરંતુ 22 નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા હતાં, એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવી વિદ્યાર્થીઓ કુદી રહ્યા હતાં, તો બીજી તરફ 16 જેટલા માસુમો આગની જ્વાળામાં લપટાઈ ચુક્યા હતા. 

આ દુખદ ઘટનાને આજે એક વર્ષ પૂરુ
સુરત સહિત દેશને રડાવનાર આ અગ્નિકાંડનું આજે એક વર્ષ પૂર્ણ થયું છે. જે 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. તેને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમના પરિવારજનો પોતાના ઘરે દીવા પ્રગટાવી તમામને શ્રદ્ધાંજલિ આપશે. આ સાથે અગ્નિકાંડના આરોપીઓને સજા મળે તેવી માગ પણ કરવામાં આવશે. 

22 લોકોના થયા હતા મોત
સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલી તક્ષશિલા આર્કેડમાં ગત 24 મે આગની ઘટના બની હતી. આ ઘટનામાં તક્ષશિલા આર્કેડના ચોથા માળે સળગી જવાથી 16 વિદ્યાર્થીઓના મોત થયા હતાં, ત્યાંજ 6 લોકોના ચોથા માળેથી કુદવાના કારણે મોત થયા હતાં. આમ સમગ્ર ઘટનમાં 22 માસૂમોનો જીવ ગયો હતો.

દેશભરમાં પડ્યા હતા પડઘા
સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રાજનેતાઓ, સેલિબ્રિટીઓ અનેક લોકોએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી.  આ ઘટનામાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) એટલે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી અને જવાબ માગ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news