ચૂંટણીમાં BJPનું કંગાળ પ્રદર્શન, રેશમા પટેલે કહ્યું-આ ભાજપના અભિમાનની હાર, નહીં કરું પ્રચાર

ચૂંટણીમાં BJPનું કંગાળ પ્રદર્શન, રેશમા પટેલે કહ્યું-આ ભાજપના અભિમાનની હાર, નહીં કરું પ્રચાર

પાંચ રાજ્યોના જાહેર થયેલા પરિણામ મામલે હાર્દિકના પૂર્વ સાથી અને ભાજપના મહિલા નેતા રેશમા પટેલે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રેશમા પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે 'આ ભાજપના આત્મવિશ્વાસની નહીં પરંતુ ભાજપના અભિમાનની હાર છે' અને લોકોના આંસુ શાસનકર્તાઓ માટે ખતરા સમાન છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ રેશમા પટેલ ભાજપ સામે ટીકા કરી ચૂક્યા છે.

પોતાની ટ્વીટ અંગે રેશમા પટેલે નિવેદન આપતાં જણાવ્યું કે પાંચ રાજ્યોમાં ભાજપની હાર થઇ એ આત્મવિશ્વાસ નહીં પણ અભિમાનની હાર છે. નીચે રહેલા કાર્યકર્તાની વાત એ ઉપર બેઠેલા નેતાઓ સાંભળતા નથી. આગામી જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો પ્રચાર નહીં કરવાની વાત પણ રેશમાએ વ્યક્ત કરી. આ સાથે એવી ચિમકી પણ ઉચ્ચારી કે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પ્રચારમાં નહીં જોડાય. 

રેશમાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વાતને સમર્થન આપતાં જણાવ્યું કે રાહુલ ગાંધીની વાતથી સહમત છે. દેશમાંથી કોઈને મુક્ત કરવાની વાત ન કરવી જોઈએ. કોંગ્રેસ મુક્ત ભારતની ભાજપની વાત ખોટી ઠરી છે. લોકશાહીમાં શાસક અને વિપક્ષ બન્ને હોવા જોઈએ. કાર્યકર્તા અને જનતાનો વિશ્વાસ નહીં જીતે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપે આવા જ માઠા પરિણામની તૈયારી રાખવી પડશે. 

આ બાજુ ભાજપે પણ રેશમા પટેલના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. રેશમા પટેલને તાકીદ કરી છે કે નિવેદનો આપવામાં તેઓ સંયમ રાખે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news