ડમ્પર ચાલકે અટફેટે લેતા વૃદ્ધનું મોત, ટ્રાફિક પોલીસની કેબિનમાં તોડફોડ કરી

વડોદરાના મકરપુરા સુશેન સર્કલ પાસે ડમ્પર ચાલકે સ્કુટી સવાર વૃદ્ધને અડફેટે લેતાં સ્કુટી સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જેથી લોકોના ટોળાએ ડમ્પરમાં અને ટ્રાફિક પોલીસની કેબિનમાં ભારે તોડફોડ કરી રસ્તો બ્લોક કર્યો હતો.

ડમ્પર ચાલકે અટફેટે લેતા વૃદ્ધનું મોત, ટ્રાફિક પોલીસની કેબિનમાં તોડફોડ કરી

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના મકરપુરા સુશેન સર્કલ પાસે ડમ્પર ચાલકે સ્કુટી સવાર વૃદ્ધને અડફેટે લેતાં સ્કુટી સવાર વૃદ્ધનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જેથી લોકોના ટોળાએ ડમ્પરમાં અને ટ્રાફિક પોલીસની કેબિનમાં ભારે તોડફોડ કરી રસ્તો બ્લોક કર્યો હતો.

વડોદરા પોલીસ કમિશનરે શહેરમાં સવારે 9 થી 1 અને સાંજે 4 થી 9 દરમિયાન ભારદારી વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે. છતાં ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ વડોદરામાં બેરોકટોક ભારે વાહનો યમરાજ બની ફરી રહ્યા છે. મકરપુરા સુશેન સર્કલ પાસેથી 65 વર્ષના બંસી ભાઈ સુરતી પસાર થતાં હતાં તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા ડમ્પર ચાલકે તેમને અડફેટે લીધા જેથી તેમનું મોત નિપજ્યું હતું. મૃતક પુરુષની પુત્રીના 8 દિવસ લગ્ન બાદ છે.બંસીભાઈનું મોત થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને ડમ્પરમાં તોડફોડ કરી હતી. 

ડમ્પર ચાલક ટ્રાફિક પોલીસની કેબિનમાં પોતાનો જીવ બચાવવા પુરાતા રોષે ભરાયેલા લોકો એ કેબિનમાં તોડફોડ કરી હતી. સાથે જ પોલીસ કર્મીઓ સાથે પણ ટોળાએ ટપલીદાવ કરી ધક્કામુક્કી કરી હતી. લોકો નો આક્ષેપ છે કે ટ્રાફિક પોલીસ હપ્તા વસૂલે છે જેથી ભારદારી વાહનો બેરોકટોક શહેરમાં ઘુસી જાય છે.

મહત્વની વાત છે કે મકરપુરા સુશેન સર્કલ પાસે ભારદારી વાહનોના કારણે અનેક અકસ્માત થાય છે, અને અનેક નિર્દોષ લોકોના જીવ જાય છે. ડમ્પર ચાલકના અકસ્માત બાદ બીજા ડમ્પર પણ આવતા લોકોએ બીજા ડમ્પરમાં પણ તોડફોડ કરી હતી. લોકોએ રસ્તો બ્લોક કરતા મોટી સંખ્યામાં પોલીસ ના જવાનો સ્થળ પર પહોંચ્યા અને ટ્રાફિક ખોલાવ્યો હતો. ડીસીપી ઝોન 4 અચલ ત્યાગીએ કહ્યું કે ડમ્પર ચાલકની ધરપકડ કરી છે સાથે જ ડમ્પરના માલિક સામે પણ ગુનો દાખલ કરાશે. તેમજ જે ટ્રાફિક પોલીસ હપ્તા વસુલતો હશે તેની સામે કાર્યવાહી કરાશે.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોએ અવાર નવાર ભારે વાહનોના અવર જવરની ટ્રાફિક પોલીસ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે, છતાં હપ્તા વસૂલતી પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી નથી. નાના વાહનચાલકો જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો પોલીસ ભારે ભરખમ દંડ વસૂલ કરે છે પણ મોટા વાહનો સામે કાર્યવાહી કરતા પોલીસ ખચકાટ અનુભવે છે. ત્યારે જો આવી જ રીતના પોલીસના હપ્તાખોરી નું સામ્રાજ્ય ચાલતું રહેશે તો રસ્તા પર દોડતા યમરાજ અનેક વાહનચાલકો ને યમલોક પહોંચાડશે તે નક્કી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news