કોંગ્રેસે ત્રણ બેઠક ભાજપને સામેથી ભેટ ધરી, વિધાનસભા ન જીતનાર લોકસભામાં શું ઉકાળશે

Congress Candidate List : ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરાબ છે. ઓપરેશન લોટસને નામે કોંગ્રેસના કદાવર નેતાઓને ભાજપમાં જોડાઈ ગયા છે અને જેઓ કોંગ્રેસના સ્ટેજ શોભાવે છે એમને હવે ચૂંટણી લડવી નથી કારણ કે હારનો ડર છે. હવે કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ ન રહેતાં ગુજરાતમાં 3 બેઠકો ભેટ ધરી દીધી હોય એમ 3 વિધાનસભાના ઉમેદવારોને ટિકિટ આપી છે. જેઓ પોતાનું ઘર ન સંભાળી શક્યા નથી એ લોકસભા બેઠક કેવી રીતે સંભાળશે એ સીધો પ્રશ્ન છે. આમ આ 3 બેઠકો કોંગ્રેસે ભાજપે ભેટ ઘરી દીધી છે. 

કોંગ્રેસે ત્રણ બેઠક ભાજપને સામેથી ભેટ ધરી, વિધાનસભા ન જીતનાર લોકસભામાં શું ઉકાળશે

Loksabha Election : ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી કોંગ્રેસના સ્ટેજ સંભાળનાર અને કોંગ્રેસના કદાવર નેતા તરીકે ઓળખાવનારને હવે ગુજરાતમાં ભાજપનો ડર લાગી રહ્યો છે. ભાજપે ગુજરાતને કોંગ્રેસમુક્ત કરવાના સપનાંમાં કોગ્રેસમાંથી 60 હજાર કાર્યકરો અને 300 નેતાઓને ભાજપમાં જોડી કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી દીધા છે. હવે કોંગ્રેસને કદાવર નેતા મળી રહ્યાં નથી. જેઓ નેતાઓ કહેવાય છે એમને ગુજરાતમાં ચૂંટણી લડવી નથી. જેને પગલે કોંગ્રેસને ગુજરાતમાં લોકસભા માટે માંડ માંડ ઉમેદવાર મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસે ગુજરાતની 3 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વીક મકવાણા, જૂનાગઢ બેઠકથી હીરાભાઈ જોટવાને ટિકિટ મળી છે તો વડોદરાથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢિયારનું નામ જાહેર થયું છે. પરંતું જાણે કોંગ્રેસે આ ત્રણ બેઠકો સામે ચાલીને ભાજપને ભેટ ધરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, કોંગ્રેસ હારેલા ઉમેદવાર પર ફરીથી બાજી લગાવવા નીકળ્યું છે. આ ત્રણેય ઉમેદવારો ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. જેઓ પોતાનું ઘર નથી સાચવી શક્યા એ લોકસભાની બેઠક કેવી રીતે સાચવશે એ સૌથી મોટો સવાલ છે પણ કોંગ્રેસ પાસે ઓપ્શન પણ નથી. ફંડની કમી મહેસૂસ કરી રહેલી કોંગ્રેસમાંથી ઉમેદવાર બની અહીં રૂપિયા ખર્ચવા હવે કોંગ્રેસીઓ નનૈયો ભણી રહ્યાં છે.  

- ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરાબ, વિધાનસભા ન જીતી શકનાર લોકસભાના ઉમેદવાર
- 3 દાયકાથી કોંગ્રેસના સ્ટેજ શોભાવનારને નથી લડવી ચૂંટણી, ભાજપનો લાગે છે ફફડાટ
- લોકસભા બાદ પણ કોંગ્રેસના આ નેતાઓ પદના નામે લાભો લેશે પણ લડવા નથી તૈયાર
-  કોંગ્રીસઓના જૂથવાદમાં  300 નેતાઓ અને 60 હજાર કાર્યકરો ભાજપ ભેગા થઈ ગયા 
- 4 બેઠકો પર તો કોંગ્રેસને નથી મળી રહ્યાં ઉમેદવાર, કોંગ્રેસ ફક્ત ભાજપને હેટ્રિક ફટકારતાં લોકસભામાં રોકે તો પણ જીતી જશે
- સારી બાબત એ પણ છે કે કોંગ્રેસના કદાવર નેતાઓની ના ના વચ્ચે આ 3 ઉમેદવારો પૈસા અને આબરૂનું પાણી કરવા થયા તૈયાર 

કોંગ્રેસે ગઈકાલે જાહેર કરેલા ત્રણેય ઉમેદવારો વિધાનસભામાં હારી ચૂક્યા છે, તેમ છતાં કોંગ્રેસે ત્રણેય ઉમેદવારોને લોકસભામાં ઉતાર્યા છે. ત્રણેય ઉમેદવારોની વાત કરીએ તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર ઋત્વિક મકવાણા જીત્યા હતા. જોકે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. જ્યારે જૂનાગઢ બેઠક પર જાહેર કરાયેલા હીરાભાઈ જોટવા કેશોદ સીટ પરથી ગત વિધાનસભા ચૂંટણી હાર્યા હતા. તેવી જ રીતે વડોદરા બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર પણ પાદરા સીટ પર ગઈ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેમની હાર થઈ હતી.

ઋત્વિક મકવાણા ત્રિપાંખિયા જંગમાં હાર્યા હતા 
ચોટીલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઇ વર્ષોથી શિક્ષણ રાજકારણ સાથે સંકળાયેલા છે. ઋત્વિકભાઈ મકવાણા હાલ પાર્લામેન્ટરી બોર્ડ મેમ્બર અને સેવાદળ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય તળપદા કોળી સમાજના પ્રમુખ સ્થાન ધરાવે છે. ઋત્વિકભાઈ મકવાણા પ્રથમ કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમણે 2017માં વિજય બાદ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં પરાજય મેળવ્યો હતો.

હીરાભાઈ જોટવાની પસંદગી કેમ કરાઈ
કોંગ્રેસે જૂનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે. તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેમણે માત્ર 23 વર્ષની ઉંમરે સરપંચની ચૂંટણી જીતી હતી. 56 વર્ષિક હીરાભાઈએ ટીવાય.બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી હોવા ઉપરાંત હાલ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના પૂર્વ નેતા છે. અને તેઓ આહિર સમાજનો પણ મોટો ચહેરો હોવાનું કહેવાય છે. હીરા જોટવાએ પોતાની 3 દાયકાની રાજકીય કારકિર્દી દરમિયાન કોંગ્રેસમાં વિવિધ પદ પર ફરજ બજાવી છે. જેમાં 1995 થી 2000 દરમિયાન વેરાવળ યુથ કોંગ્રેસ પ્રમુખ, 2002 થી 2005 સુધી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ, 2005 થી 2010 સુધી જૂનાગઢ બક્ષીપંચ વિભાગના પ્રમુખ, 2010 થી 2015 દરમિયાન જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા, તેમજ 2015 થી 2018 દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના કારોબારી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યાં છે.

જુનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ખેડૂત અગ્રણી અને શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલ હીરાભાઈ જોટવાને લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે ભાજપ દ્વારા આહીર સમાજનું મોટું નામ એવા હીરા જોટવાને મેદાને ઉતારી ગ્રામ્ય મતોનું સમીકરણ બેસાડ્યું છે. આ અગાઉ 2 ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા રાજેશ ચુડાસમાના સમાજના જ કોળી અગ્રણી પૂંજા વંશને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે કોળી સમાજના મતોનું ધ્રુવીકરણ ન થતા કોંગ્રેસે આહિર નેતાને પસંદગી કરી છે. આહીર સમાજને ટાર્ગેટ કરવા માટે હીરા જોટવાને મેદાને ઉતારી ગ્રામ્ય મતોનું સમીકરણ પોતાના તરફ ફેરવવાનો નિર્ણય કર્યો છે. હીરાભાઈ જોટવા ત્રણ પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પોતે ખેડૂત નેતા છે. સાથે સાથે શૈક્ષણિક જગતમાં પણ અનેક સંસ્થાઓનું સર્જન કરી ચૂક્યા છે. ત્યારે હીરા જોટવા પોતાના કાર્યો પર પ્રજા તેમને સાંસદ બનાવશે તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. 

કેમ જૂનાગઢમાં રાજેશ ચુડાસ્મા થયા રીપિટ

જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં જાતિગત સમીકરણ પર નજર કરીએ તો, કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે. આ સાથે લઘુમતી, દલિત, આહીર, પાટીદાર અને બક્ષીપંચમાંથી કોળી જ્ઞાતિ સિવાયની અન્ય બક્ષીપંચ જ્ઞાતિઓના મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં છે. પાછલી બે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોળી સમાજના ઉમેદવારોને મેદાને ઉતારીને લોકસભા બેઠક કબજે કરવા માટે રણનીતિ બનાવી હતી. જેમાં ભાજપ સફળ રહ્યું હતું અને પાછલા બે ચૂંટણીમાં ભાજપના કોળી ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ત્યારે ભાજપે ફરી એકવાર રાજેશ ચુડાસમાને રિપીટ કરીને જાતિગત સમીકરણના આધારે આ બેઠક કબજે કરવા ભાજપે રણનીતિ તૈયાર કરી છે.

જસપાલસિંહ પઢિયાર વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે 
કોંગ્રેસે વડોદરા (Vadodara)માં ભાજપના ઉમેદવાર હેમાંગ જોષી સામે જસપાલસિંહ પઢિયારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે. ઋત્વિક મકવાણા વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર જીત્યા હતા. જોકે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. એવું કહેવાય છે કે, જસપાલસિંહ યુવા અને ક્ષત્રિય ચહેરો છે. આ ઉપરાંત વાઘોડિયા અને સાવલી તાલુકામાં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસે તેમના પર પસંદગી ઉતારી છે.

ઉલ્લેખનીય છે કે, હવે કોંગ્રેસના 4 ઉમેદવારો જાહેર થવાના બાકી છે. જેમાં મહેસાણા, અમદાવાદ ઇસ્ટ, નવસારી અને રાજકોટનો સમાવેશ થાય છે. જ્યાં કોંગ્રેસને સમખાવા પૂરતો પણ ઉમેદવાર મળી રહ્યો નથી. વડોદરા લોકસભા બેઠકની વાત કરતા હોઈએ ત્યારે જાણવું એ પણ જરૂરી છે આ લોકસભા બેઠકમાં કુલ કેટલી વિધાનસભાનો સમાવેશ થાય છે. જણાવીએ કે અહીં સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર બેઠકના મતદારો સાંસદને દિલ્લી સુધી પહોંચાડવામાં પ્રમુખ ભૂમિકા ભજવી જાય છે. વર્ષ 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે તેથી ભાજપ માટે આ બેઠક સુરક્ષિત કિલ્લા સમાન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news