રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણ

Gujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણ

Loksabha Election 2024 : કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદન પર ભાજપ પાર્ટી મુશ્કેલીમાં આવી ગઈ છે. તો રાજ્યમાં જ્યાં લગભગ ત્રણ દાયકાથી ભાજપનો કબજો છે. રૂપાલાએ એક કાર્યક્રમમાં વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યુ હતું. જેને કારણે ન માત્ર ગુજરાતના, પરંતુ દેશભરના રાજપૂતો ભડકયા છે. હવે વાત રૂપાલાના રાજકોટથી ઉમેદવારી પર આવીને અટકી છે. 

રૂપાલાની માફી પણ કામ ન આવી
રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ થયો છે. અને એવો નારાજ થયો છે કે, સમુદાય રસ્તા પર આંદોલન કરવા ઉતરી આવ્યો છે. ક્ષત્રિય સમાજે દાવો કર્યો કે, આ હુમલો તેમની સત્યનિષ્ઠા પર કરાયેલો હુમલો છે. રાજપૂતોનો આક્રોશ વધતા કેન્દ્રીય મંત્રીએ માફી માંગતા કહ્યુ હતું કે, મેં જે કહ્યું તેને એ મતલબ ન હતો. મને અફસોસ છે. જોકે, માફી માંગવાથી પણ ક્ષત્રિય સમાજની નારાજગી દૂર ન થઈ. તેઓએ આ બાબતને ચૂંટણીની ચાલ ગણાવી. જોકે, બીજી તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની માફી પર જરા પણ નમતું જોખવા તૈયાર નથી. તેમનું કહેવુ છે કે, જો રૂપાલાની ઉમદેવારી પરત નહિ લેવાય તો સમુદાય રાજકોટ સીટ માટે 400 ઉમેદવાર ઉભા કરશે. આ સાથે જ ક્ષત્રિયોએ ભાજપ વિરોધી વોટ કરવા આહવાન કર્યું છે. 

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણી
કોંગ્રેસે રાજકોટ બેઠક પર રૂપાલાની સામે પાટીદાર ઉમેદવાર પરસોત્તમ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. પરેશ ધાનાણી લેઉવા પાટીદાર ઉમેદવાર છે. પહેલા ધાનાણીએ અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી હતી. પરંતું બાદમાં તેમણે મન બદલ્યું અને પાર્ટીએ તેમને રૂપાલાની સામે ઉભા કર્યાં. 

જૂનું વેર બહાર આવ્યું
રૂપાલા કડવા પાટીદાર છે. આ સમુદાયનું સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોની સાથે પહેલાથી ખટગારભર્યો ઈતિહાસ રહ્યો છે. જે 80 ના દાયકામાં કોંગ્રેસની રાજનીતિ સાથે જોડાયેલો છે. દિવંગત કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ રાજ્યમાં KHAM  (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમીકરણ તૈયાર કર્યુ હતું. જેણે પાટીદારોને સત્તાની બહાર ફેંક્યા હતા. જેનાથી બંને સમુદાય એકબીજાની વિરુદ્ધ આવી ગયા હતા. 

જૂની કડવાટ ફરી પેદા ન થાય..

ભૂતકાળમાં, બંને પક્ષના સમુદાયના લોકોની હત્યાઓએ તેમના વચ્ચેની દુશ્મનાવટ પેદા કરી હતી, અને કડવાશના બીજમાં પાણી રેડ્યુ હતું. ભાજપ તરફથી વ્યાપક હિન્દુ ઓળખને પ્રોત્સાહન આપવાથી આ કડવાશ થોડા અંશે દૂર તો થઈ, પરંતુ પૂરી રીતે ખતમ ન થઈ. ભાજપ આ માટે મહેનત કરી રહ્યુ છે કે, જૂની કડવાટ ફરી પેદા ન થાય અને હાલના વિવાદને કારણે તેને ચૂંટણીમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.  

ભાજપને કેટલું નુકસાન પહોંચાડશે ક્ષત્રિય
ભાજપે આ વાત પર જોર આપ્યુ છે કે, રૂપાલા ને હટાવવામાં નહિ આવે. કેન્દ્રીય મંત્રી જેવા દિગ્ગજ નેતાની ટિકિટ પરત ખેંચવાથી પાર્ટીને નુકસાન થશે. આ નુકસાનને પાર્ટી કોઈ પણ કિંમતે બચાવવા માંગે છે. તેનાથી ગુજરાતમાં 14 થી 16 ટકા પાટીદાર મતદાર નારાજ થઈ શકે છે. જેની અસર રાજ્યની સાત લોકસભા સીટ પર પડશે. તેનાથી વિપરીત ક્ષત્રિય વોટ 5-6 ટકા છે અને 26 સીટમાંથી કોઈ પણ નિર્ણાયક પ્રભાવ પાડી શક્તા નથી. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, અને રૂપાલાના વધતા વિવાદને વચ્ચે ભાજપનો ચૂંટણી પ્રચાર ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news