આ શાળાની ખાસિયતો જાણીને તમે પણ કહેશો વાહ! વેકેશનમાં શિક્ષકે શાળાને કચરામાંથી કંચન બનાવી

કાલોલ સી.આર.સી કોર્ડીનેટરમાંથી જોડિયા કૂવા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે છ માસ અગાઉ જ બદલી થઈ હતી. શાળામાં આવ્યા બાદ તેઓએ શાળામાં આવતા બાળકોને આકર્ષવા તેમજ તેઓના જ્ઞાનમાં ઝડપી વધારો કરવા માટે કંઈક નવું કરવાનું વિચાર્યું.

આ શાળાની ખાસિયતો જાણીને તમે પણ કહેશો વાહ! વેકેશનમાં શિક્ષકે શાળાને કચરામાંથી કંચન બનાવી

ઝી બ્યુરો/પંચમહાલ: રાજ્ય સરકાર દ્વારા સરકારી શિક્ષણ ઉચ્ચત ગુણવત્તા સભર આપવામાં આવે છે પરંતુ આ શિક્ષણ આપતા શિક્ષકો દ્વારા પોતાની આગવી સૂઝબુઝથી બાળકોને સરકારે નક્કી કરેલા અભ્યાસક્રમો બહારનું પણ શિક્ષણ આપવામાં આવે છે. આજ બાબતને લઈને પંચમહાલ જિલ્લામાં પણ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. 

પંચમહાલ જેવા અંતરિયાળ અને પછાત જિલ્લામાં આવેલી સરકારી શાળાઓમાં કેવું શિક્ષણ આપવામાં આવતું હશે ? આ પ્રશ્ન કાયમી બની જવા પામ્યો હતો. જેને મિટાવવા માટે પંચમહાલ જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા કમર કસી હોય તેમ જિલ્લામાં આવેલ સરકારી શાળાઓના શિક્ષકો દ્વારા અવનવા પ્રયોગો દ્વારા શાળામાં આવતા બાળકોને અવનવા પ્રયોગો દ્વારા શાળાકીય અભ્યાસક્રમો તો ખરા જ પણ અન્ય બાબતોનું જ્ઞાન પણ તેમને મળી રહે તે માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આવો જ એક પ્રયોગ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના જોડિયાકુવા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યો છે. 

કાલોલ સી.આર.સી કોર્ડીનેટરમાંથી જોડિયા કૂવા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે છ માસ અગાઉ જ બદલી થઈ હતી. શાળામાં આવ્યા બાદ તેઓએ શાળામાં આવતા બાળકોને આકર્ષવા તેમજ તેઓના જ્ઞાનમાં ઝડપી વધારો કરવા માટે કંઈક નવું કરવાનું વિચાર્યું અને હમણાં જ સમાપ્ત થયેલા ઉનાળુ વેકેશનમાં શાળાને રંગરોગાન કરાવ્યું અને શાળાના ઓરડા,કાર્યાલય, મધ્યાહન ભોજન કક્ષ જેવા ઓરડાની દીવાલો પર શિક્ષક દ્વારા કક્કો, બારાક્ષરી, અંગ્રેજી મૂળાક્ષરો, રાજ્યના જિલ્લાઓ, રાજ્યના મોટા સરોવરો, સંગીતના સાધનો, યોગાસનો, તહેવારોના નામ જેવી અનેક માહિતી આ ભીંત પર લખાવવામાં આવી. 

વેકેશનમાં 22 દિવસ સુધી મુખ્ય શિક્ષક દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું અને શાળાને એક નવું જ રૂપ આપવામાં આવ્યું. શાળામાં પ્રવેશતા જ એકમાં સરસ્વતીનું મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં બાળકો શાળાએ આવતા પહેલા મંદિરમાં દર્શન કરે છે પછી જ પોતાના વર્ગખંડમાં જાય છે. શાળાના અન્ય 3 શિક્ષકો દ્વારા પણ શાળામાં આવતા બાળકોને અભ્યાસની સાથે સાથે યોગ, કસરત સહિત અનેક ઈતર પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. શાળામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અતીપછાત બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. જેઓ પોતાની શાળાને એક નવા રૂપરંગ માં જોતા અનેરો ઉત્સાહ આ બાળકોમાં જોવા મળી રહ્યો છે. 

શાળાના શિક્ષક દ્વારા શાળામાં કરવામાં આવેલા બદલાવને લઈને શાળા અભ્યાસ માટે આવતા બાળકોની સંખ્યામાં ગતવર્ષ કરતા આ વખતે વધારો જોવા મળ્યો છે. ધોરણ 1 થી 5 ની આ સરકારી પ્રાથમિક શાળા ગત વર્ષે 90 બાળકો અભ્યાસ કરતા હતા જ્યારે આ વર્ષે 110 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં આવતા બાળકો માટે મધ્યાહન ભોજન, પીવાનું શુદ્ધ પાણી તેમજ છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ સ્વચ્છ શૌચલયની પણ શાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે. શિક્ષક દ્વારા શાળામાં કરવામાં આવેલા બદલાવને વાલીઓ અને વિદ્યાર્થીઓ આવકારી રહ્યા છે. સાથે સાથે વાલીઓ માંગ કરી રહ્યા છે કે શાળામાં બાળકોની સંખ્યામાં વધારો થવાથી શાળામાં હાલમાં જે ઓરડા છે તે ઓછા છે જેમાં વધારો કરવામાં આવે. હાલમાં ધોરણ 4 અને 5 ના વિદ્યાર્થીઓને એક જ ઓરડામાં બેસાડવામાં આવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news