દસક્રોઈ ખાતે 20 ઓકિસજન બેડ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત, 500 બેડ સુધી વિસ્તારવાનું આયોજન

સમાજના સેવાભાવી સંગઠનોમાં અપ્રતિમ સામર્થ્ય રહેલું હોય છે અને આ સેવાભાવી સંગઠનોના સામર્થ્યનો સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ થાય તો તેના સુંદર પરિણામો પ્રાપ્ત થાય છે

દસક્રોઈ ખાતે 20 ઓકિસજન બેડ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત, 500 બેડ સુધી વિસ્તારવાનું આયોજન

અમદાવાદ: સમાજના સેવાભાવી સંગઠનોમાં અપ્રતિમ સામર્થ્ય રહેલું હોય છે અને આ સેવાભાવી સંગઠનોના સામર્થ્યનો સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ થાય તો તેના સુંદર પરિણામો પ્રાપ્ત થાય છે, તેમ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેના આચાર્ય કરસનદાસજી મહારાજ આરોગ્યધામ દ્વારા શરુ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સેન્ટરની શરુઆતથી કોવિડગ્રસ્ત દર્દીઓએ અમદાવાદ સુધી જવું નહી થવું પડે અને લોકોને ઘર આંગણે જ આરોગ્ય-સુવિધા પ્રાપ્ત થશે.

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રેરણાપીઠધામે શરુ કરેલી આ આરોગ્યસેવા લોકોને ખૂબ ઉપયોગી થશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, કોરોનાને હરાવવા માટે જનતા તરફથી ઉત્તમ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે, જેના કારણે ઝડપથી આપણે આ મહામારીમાંથી મુક્ત થઈ શકીશું.

ઉલ્લેખનીય છે કે આ કોવિડ કેર સેન્ટર શરુ કરવા પાછળનો પ્રેરણાસ્ત્રોત રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ છે. આચાર્ય કરશનદાસજી મહારાજ આરોગ્ય ધામ રાજ્ય સરકાર દ્વારા માન્ય અને સંચાલિત છે તેમ જ તેમાં 20 જેટલા ઓક્સિજનબેડની સુવિધા ઉપ્લબ્ધ છે. આ સેવા તદ્દન નિશુલ્ક રહેશે. આ સેન્ટરને દસક્રોઈ તાલુકા હેલ્થ ઓફિસનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.

ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ રાષ્ટ્રવાદને વરેલી સંસ્થા છે અને તેની પ્રેરણાથી આરંભાયેલું આ શુભ કાર્ય પરિણામલક્ષી બનશે, જે અન્ય સેવાભાવી સંગઠનો માટે પણ મિશાલ કાયમ કરશે. તેમણે ઉમેર્યું કે, આ કોવિડ કેર સેન્ટર 500 બેડ સુધી વિસ્તરી શકવાનું સામર્થ્ય ધરાવે છે. ગૃહરાજ્યમંત્રીએ પીરાણા ધામ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્ય સરકારના કોવિડ સંક્રમણને નિયંત્રિત કરવાના પ્રયાસોમાં પીરાણાની પ્રેરણાપીઠ ધામનું પીઠબળ ઘણું ઉપયોગી બની રહેશે.

દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ પટેલના સહકારથી ગુરુકુળ વિદ્યાવિહાર ખાતે 120 બેડનુ કોવિડ કેર સેન્ટર પણ ટૂંક સમયમાં કાર્યરત થશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશબાબુ તેમ જ પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રેરણાપીઠના ગાદીપતિ જગતગુરુ જ્ઞાનેશ્વરદાસજીના આશિર્વાદ મેળવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news