એક તીર દો નિશાનઃ સી.આર.પાટીલના નિવેદનથી ભાજપના હોદ્દેદારોના સપના રોળાયાં, કોંગ્રેસની પણ થઈ બોલતી બંધ

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલે અનેક એવા નિવેદનો આપ્યાં છે, જેને રાજકીય ક્ષેત્રે હલચલ જગાવી હોય. કોંગ્રેસમાંથી કોઈ ધારાસભ્યોને ભાજપમાં ન લેવાની વાત હોય કે, પછી સરકારના મંત્રીઓને કમલમાં બેસાડીને ભાજપના કાર્યકરોની સમસ્યા હલ કરવાની સુચના આપ્યાંની વાત હોય પાટીલ હંમેશા ચર્ચામાં રહ્યાં છે. ત્યારે સી.આર.પાટીલે વડોદરામાં પણ એવું જ એક નિવેદન આપીને ફરી એકવાર રાજકીય વર્તુળોમાં ચર્ચા ઉભી કરી છે.

એક તીર દો નિશાનઃ સી.આર.પાટીલના નિવેદનથી ભાજપના હોદ્દેદારોના સપના રોળાયાં, કોંગ્રેસની પણ થઈ બોલતી બંધ

રવિ અગ્રવાલ, વડોદરાઃ પક્ષમાં કડક શિક્ષક તરીકે અને સખત નિર્ણય લેવાની છાપ ધરાવતા સી.આર.પાટીલ ગુજરાત ભાજપની કમાન સંભાળ્યા બાદ સતત ચર્ચામાં રહે છે. પોતાના વિવિધ નિવેદનો અને નિર્ણયોથી સી.આર.પાટીલ ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ અચરજ પમાડતા રહ્યાં છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓના પ્રવાસ દરમિયાન વડોદરા ખાતે સી.આર.પાટીલનું વધુ એક એવું નિવેદન સામે આવ્યું જેણે હાલ કોંગ્રેસની સાથો-સાથ ભાજપના હોદ્દેદારો અને નેતાઓની પણ ઉંઘ ઉડાડી દીધી છે.

વડોદરામાં ભાજપ કાર્યલયમાં સંગઠનની બેઠક યોજાઈ હતી. ખાસ કરીને આગમી દિવસોમાં આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ અને તે અંગેના આગામી એજન્ડા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને કહી દીધુંકે, હવે ભાજપમાં એક પરિવારમાં એક જ હોદ્દો અપાશે. 

સી.આર.પાટીલે કાર્યકરોને જણાવ્યુંકે, હવે ભાજપ સંગઠનમાં પ્રતિ ઘર દીઠ એક જ હોદ્દો મળશે. જે સંગઠનનો હોદ્દો ધરાવતા હશે તેમને ચૂંટણીમાં ટિકિટ નહીં મળે. વડોદરા ભાજપ સંગઠનમાં જે લોકોને સ્થાન મળ્યું છે તેઓ ટિકિટ માટે મહેનત ના કરે. પાટીલના આ નિવેદનથી ભાજપના ટિકિટ વાંચ્છુક નેતાઓ અને હોદ્દેદારોનું સપનું રોળાયું છે.

પાટીલે આ એક નિવેદનથી એક કાંકરે બે નિશાન તાક્યા છે. એક તરફ પાટીલે પરિવારવાદ અને ભાઈ-ભત્રીજાવાદના નિવેદનો મુદ્દે કોંગ્રેસની બોલતી બંધ કરી દીધી છે. બીજી તરફ પાટીલે ગુજરાત ભાજપના નેતાઓ અને હોદ્દેદારોને પણ સ્પષ્ટ સંકેત આપી દીધો છેકે, અહીં મેરિટના આધારે જ પદ આપવામાં આવશે. અહીં કોઈપણ પ્રકારનો સગાવાદ કે પરિવારવાદ ચલાવી લેવામાં નહીં આવે. 

આ અગાઉ સી.આર.પાટીલે વડોદરા ખાતેની મુલાકાત દરમિયાન લવ જેહાદ અંગે કાયદાનું સમર્થન કર્યું હતું. સી.આર.પાટીલે જણાવ્યું હતુંકે, ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવો જરૂરી છે. દિકરીઓને ભોળવવાનો પ્રયાસ થાય તે ક્યારે પણ સાંખી શકાય નહી. દિકરીને ભોળવવાનો પ્રયાસ થાય તો કાયદાકીય પગલાં લેવાવા જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news