શાહ સાથે ગુજરાત ભાજપના નેતાઓએ કર્યું મંથન, લોકસભાની 26 સીટો જીતવા બનાવી રણનીતિ

બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભિખુ દલસાણીયાએ હાજરી આપી હતી.
 

શાહ સાથે ગુજરાત ભાજપના નેતાઓએ કર્યું મંથન, લોકસભાની 26 સીટો જીતવા બનાવી રણનીતિ

નવી દિલ્હીઃ દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પર બેઠક મળી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાત લોકસભાની 26 બેઠક પર મંથન કરાયું હતું. 26 બેઠક પર જીત મેળવવા ત્રણ કલાકથી વધુ ચર્ચા વિચારણા કરવામા આવી હતી. બેઠકમાં 26 લોકસભા બેઠકના પ્રભારી દ્વારા બનાવેલા રિપોર્ટ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત ભાજપે અમિત શાહને તમામ લોકસભા બેઠકનો રિવ્યું રિપોર્ટ સોંપ્યો છે અને કઈ બેઠક પર ભાજપ માટે શું પરિસ્થિતિ છે તેના પર ચર્ચા કરાઈ હતી. બેઠકમાં અમિત શાહે તમામ 26 બેઠક જીતવા પ્રદેશ નેતૃત્વને માર્ગદર્શન આપ્યું છે. વડાપ્રધાન મોદીના ચહેરા પર જ ગુજરાત ભાજપ 26 બેઠક જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભિખુ દલસાણીયાએ હાજરી આપી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, રાષ્ટ્રીય અધ્યક્ષના નેતૃત્વમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે રણનીતિ બનાવવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાને લોકો સુધી પહોંચાડવામાં આવશે. લોકસભા પ્રમાણે અલગ-અલગ કોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. જે પણ લોકોને કેન્દ્ર અને રાજ્યની યોજનાથી લાભ થયો છે તેની સાથે સંપર્ક કરવામાં આવશે. અમે વિકાસનો મુદો લઈને લોકસભાના મેદાનમાં ઉતરવાના છીએ. ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવતીકાલ (2 ઓક્ટોબર)થી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. આ સાથે તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીને લઈને તૈયાર છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news