અમદાવાદ રહેવા માટે સેફ છે? 75 લાખ અમદાવાદીઓની વચ્ચે રખડે છે 2.5 લાખ કૂતરા

Street Dog Attack : રહીશો તરફથી ઓનલાઈન ફરિયાદ કરવામા આવ્યા બાદ પણ કૂતરા પકડવા કોઈ કામગીરી કરવામા આવતી નથી. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાંથી રખડતા કૂતરા પકડવામા આવ્યા બાદ ફરી પાછા એ જ સ્થળે પાછા છોડી દેવામા આવતા હોવાથી સમસ્યા ઠેરની ઠેર છે
 

અમદાવાદ રહેવા માટે સેફ છે? 75 લાખ અમદાવાદીઓની વચ્ચે રખડે છે 2.5 લાખ કૂતરા

Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. કૂતરાઓના કારણે રોજ અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કૂતરાં કરડવાના રોજના ત્રણથી ચાર કેસો સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં સોનલ સિનેમા રોડ ઉપર ગંભીર ઘટના સામે આવી છે. ઘોડિયામાં સૂતેલા ત્રણ મહિનાના બાળકને ચાર જેટલાં કૂતરાઓ ઊંચકીને તેને બચકાં ભરી લીધાં હતાં. સ્થાનિક લોકો જોઈ જતા તાત્કાલિક તેઓ દોડ્યા હતા અને બાળકને કૂતરાઓના મુખમાંથી છોડાવ્યું હતું. પગના અને કમરના ભાગે બાળકને બચકાં ભર્યા હોવાથી અને નખ વાગતાં ઈજાગ્રસ્ત થયું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જેને લઇે સ્થાનીકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

અમદાવાદમાં કૂતરા કરડવાના વધતા જતા બનાવની વચ્ચે 1.17 લાખથી વધુ કૂતરાના ખસીકરણ માટે દસ કરોડથી વધુની રકમનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામા આવ્યો છે. એક કૂતરાના ખસીકરણ માટે 930 રુપિયા ખાનગી સંસ્થાને ચૂકવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કૂતરા કરડવાની ઘટનાઓમા સતત વધારો થયેલો જોવા મળી રહયો છે. અનેક એવા વિસ્તારો એવા છે કે જયાં રાત પડતાની સાથે રખડતા કૂતરા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને કરડતા હોય છે. આ પ્રકારના કૂતરાને પકડવા જે તે વિસ્તારના રહીશો તરફથી ઓનલાઈન ફરિયાદ કરવામા આવ્યા બાદ પણ કૂતરા પકડવા કોઈ કામગીરી કરવામા આવતી નથી. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાંથી રખડતા કૂતરા પકડવામા આવ્યા બાદ ફરી પાછા એ જ સ્થળે પાછા છોડી દેવામા આવતા હોવાથી સમસ્યા ઠેરની ઠેર છે. ડોગ રુલ્સ પ્રમાણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રખડતા કૂતરાને પકડી તેનુ ખસીકરણ કરવા માટે પીપલ ફોર એનિમલ ઉપરાંત ગોલ ફાઉન્ડેશન, યશ ડોમેસ્ટીક રીસર્ચ સેન્ટર તથા સંસ્કાર એજયુકેશન ટ્રસ્ટ નામની સંસ્થાઓને કામગીરી સોંપવામા આવી છે. શહેરમા હાલમા અંદાજે અઢી લાખથી વધુ કૂતરાની વસ્તી છે. 

અમદાવાદની કુલ વસ્તી અંદાજે 75 લાખની આસપાસ છે, તેની સામે અમદાવાદીમાં અદાજે 2.5 લાખ રખડતા કૂતરાઓની વસ્તી છે. જે કેટલુ યોગ્ય કહેવાય. રખડતા કૂતરાની સંખ્યા સતત વધી રહી છે. તેમના પર કોઈ અંકુશ ન હોવાથી માણસો માટે વચ્ચે જીવન વિતાવી રહ્યાં છે. તેઓ ક્યારે હુમલો કરે તેનુ કંઈ કહેવાય નહિ. 

શહેરમાં પાંચ વર્ષમા શ્વાન કરડવાના બનાવ

વર્ષ શ્વાન કરડવાના બનાવ
2018 60241
2019 65881
2020 51244
2021 23362
2022 58125

ચાર વર્ષમાં કેટલા કૂતરાનું ખસીકરણ કરાયું?

વર્ષ ખસીકરણની સંખ્યા  ખર્ચ (કરોડોમાં)
2020 21502 1.91 કરોડ
2021 30360 2.77 કરોડ
2022 39856 3.78
2023 41514 3.86

નોંધનીય છે કે વર્ષે આટલો મોટો ખર્ચ કરવામાં આવતો હોવા છતા મેગાસીટીમાં રખડતા શ્વાનનો આતંક ઓછો થયો નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જો ચાર ચાર સંસ્થાને ખસીકરણની કામગીરી સોંપવામાં આવી હોવા છતા કેમ શહેરમાંથી શ્વાનની સંખ્યા ઓછી થતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news