લોકડાઉનની સ્થિતીમાં આર્થિક આધાર, રાજ્ય સરકાર રૂ. ૬૬૦ કરોડનું ભારણ ઉપાડશે

સોમવાર તા. ર૦ એપ્રિલથી આવા ૬૬ લાખ NFSA લાભાર્થીઓના બેન્ક ખાતામાં ડી.બી.ટી.થી ૧૦૦૦ રૂપિયા જમા કરાવવામાં આવશે. આના પરિણામે રાજ્ય સરકારને રૂ. ૬૬૦ કરોડનું વધારાનું ભારણ પડશે.

લોકડાઉનની સ્થિતીમાં આર્થિક આધાર, રાજ્ય સરકાર રૂ. ૬૬૦ કરોડનું ભારણ ઉપાડશે

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના ગરીબ, શ્રમજીવી પરિવારોને આર્થિક આધાર આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્યમાં ૬૬ લાખ જેટલા ગરીબ, મધ્યમવર્ગીય, શ્રમિકોના પરિવારો-કાર્ડધારકો જેઓ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અન્વયે અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેમના બેન્ક ખાતામાં સોમવાર તા. ર૦ એપ્રિલથી રાજ્ય સરકાર રૂ. ૧ હજારની રકમ જમા કરાવશે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંત્યોદય-ગરીબલક્ષી નિર્ણયની ભૂમિકા આપતાં કહ્યું કે, કોરોના વાયરસની સ્થિતીને પગલે જાહેર થયેલા લોકડાઉનમાં આવા વર્ગોને રોજગારી-રોજીરોટી ન મળવાને કારણે આર્થિક મુશ્કેલી સહન ન કરવી પડે તે માટે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ સંવેદના દર્શાવી આવા ૬૬ લાખ NFSA કાર્ડધારકોના બેન્ક ખાતામાં એપ્રિલ માસ પૂરતા ૧૦૦૦ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.

હવે, સોમવાર તા. ર૦ એપ્રિલથી આવા ૬૬ લાખ NFSA લાભાર્થીઓના બેન્ક ખાતામાં ડી.બી.ટી.થી ૧૦૦૦ રૂપિયા જમા કરાવવામાં આવશે. આના પરિણામે રાજ્ય સરકારને રૂ. ૬૬૦ કરોડનું વધારાનું ભારણ પડશે. તેમણે આ અંગે વધુ વિગતો આપતાં ઉમેર્યુ કે, આ ૧૦૦૦ રૂપિયાની સહાય માટે લાભાર્થી પરિવાર-કાર્ડધારકે કોઇ વધારાના ફોર્મ્સ ભરવા કે ફોર્માલિટીઝ કરવી પડશે નહિ. રાજ્ય સરકાર પાસે આવા ૬૬ લાખ લાભાર્થીઓનો ડેટાબેઇઝ ઉપલબ્ધ છે તેના આધારે સીધા જ તેમના બેન્ક ખાતામાં એપ્રિલ માસ પૂરતા રૂ. ૧૦૦૦ જમા કરાવવામાં આવશે. મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીના આ સ્તુત્ય નિર્ણયની ગરીબ, શ્રમજીવી, બાંધકામ શ્રમિક, મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રાહત મળશે.

મુખ્યમંત્રીએ લોકડાઉનની આ સ્થિતીમાં રાજ્યના ૬૦ લાખ મધ્યમવર્ગીય પરિવારો એટલે કે ર.પ૦ કરોડ લોકો જેમની પાસે APL-1 રેશનકાર્ડ છે તેમને પણ એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ તા. ૧૩ એપ્રિલથી આપવાનો નિર્ણય કર્યો હતો. આ સંદર્ભમાં મુખ્યમંત્રીના સચિવે કહ્યું કે, આવા ૬૦ લાખ પરિવારોમાંથી અત્યાર સુધીમાં ૪પ લાખ પરિવારો-કાર્ડધારકોએ આ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી મેળવ્યો છે.

આ હેતુસર અત્યાર સુધીમાં ૪પ હજાર મે.ટન ઘઉં, ૧પ હજાર મે.ટન ચોખા, ૪પ૦૦ મે.ટન ખાંડ તેમજ ૪પ૦૦ મે.ટન ચણા-દાળ, ચણાનું વિતરણ થયું છે એમ તેમણે ઉમેર્યુ હતું. અશ્વિનીકુમારે જણાવ્યું કે, હજુ પણ જે APL-1 લાભાર્થીઓ આ અનાજ મેળવવાથી બાકી રહી ગયા છે તેમને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી અનાજ વિતરણની પ્રક્રિયા ચાલુ રહેવાની છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં નાગરિકો-પ્રજાજનોને ખાદ્યતેલની તંગી ન પડે તેમજ તેના ભાવો પણ જળવાઇ રહે તેવી મુખ્યમંત્રીની તાકિદને પગલે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને રાજકોટ જિલ્લાના ઓઇલ મિલ્સ સંચાલકો સાથે શુક્રવારે અન્ન નાગરિક પુરવઠા સચિવ, વેરહાઉસીંગ કોર્પોરેશનના એમ.ડી અને મુખ્યમંત્રીના સચિવે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં નાફેડના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મગફળીની માંગ પ્રમાણે પુરવઠો જળવાઇ રહે, ઓઇલ મિલર્સને મગફળીનો પુરવઠો મેળવવામાં તકલીફ ન પડે એટલું જ નહિ, ભાવ પણ જળવાઇ રહે તે અંગે ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. 
 
મુખ્યમંત્રીએ રાજ્યમાં માર્કેટયાર્ડ-બજાર સમિતીઓ તા.૧પ એપ્રિલથી કાર્યરત કરવાનો જે નિર્ણય કર્યો તેની ફલશ્રુતિએ રાજ્યમાં શનિવારે ૬૩ માર્કેટયાર્ડ કાર્યરત થઇ ગયા છે. તેમણે કહ્યું કે, આ ૬૩ માર્કેટયાર્ડ – બજાર સમિતિમાં બે દિવસ દરમ્યાન ૩૩,૮૭૩ કવીન્ટલ ખેત ઉત્પાદનો વેચાણ માટે રાજ્યના ખેડૂતો લાવ્યા છે અને તેનું વેચાણ થયું છે. 

આ ખેત ઉત્પાદનમાં ર૭,૮પ૦ કવીન્ટલ ઘઉં, ૧૦,ર૦૬ કવીન્ટલ રાયડો અને ર૧ર૪ કવીન્ટલ અન્ય જણસીઓનું વેચાણ થયું છે એમ પણ અશ્વિનીકુમારે જણાવ્યું હતું. મુખ્યમંત્રીના સચિવે લોકડાઉનના પચ્ચીસમાં દિવસની જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની વિગતો આપતાં જણાવ્યું કે, શનિવારે રાજ્યમાં ૪૬.પ૭ લાખ લીટર દૂધ વિતરણ થયું છે. ૭૪,પ૯૩ કવીન્ટલ શાકભાજી અને ૧૦,૧૯૦ કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news